મુંબઇ, તા. 8 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહાવિકાસ અઘાડી પર નિશાન સાધ્યું હતું. વિપક્ષ પર પ્રહાર કરતાં મોદીએ કહ્યું હતું કે, પાકિસ્તાનના એજન્ડાને કાશ્મીરમાં ઉત્તેજન આપવાનો પ્રયાસ ન કરો. કોંગ્રેસ સહિત વિપક્ષો પહેલાં ધર્મનાં નામ પર લડાવતા હતા, જેનાં કારણે જ દેશના ભાગલા થયા આજે જાતિઓને લડાવવાનું કામ કરે છે. આ ભારત વિરુદ્ધ ષડયંત્ર છે. `એક’?રહેશું તો `સેફ’ રહેશું, તેવું તેમણે કહ્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે, મહાઅઘાડીની ગાડીમાં નથી પૈડાં કે નથી બ્રેક અને ડ્રાઇવરની સીટ પર બેસવા માટે ઝઘડો થઇ?રહ્યો છે. ચોમેર હોર્ન વાગી રહ્યાં છે.
મહારાષ્ટ્રનાં લોકોએ હંમેશાં દિલ ખોલીને ભાજપનું સમર્થન કર્યું છે અને ભાજપના વડપણવાળા એનડીએમાં વિજયનો શંખનાદ કરી દીધો છે, તેવું વડાપ્રધાન બોલ્યા હતા. મોદીએ કહ્યું હતું કે, અમારા માટે જનતા સર્વોપરી છે, તેની સેવા જ અમારું કર્તવ્ય છે, પરંતુ મહાઅઘાડીએ સરકાર બનાવીને લોકોનો ભરોસો તોડયો છે.
કોંગ્રેસ જાતિગત ભેદભાવને ઉત્તેજન આપે છે. તેમને અનુસૂચિત, પછાત, આદિવાસી સમુદાયોની પ્રગતિ જોવી નથી, તેવા પ્રહાર તેમણે કર્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, કોંગ્રેસે કલમ 370નાં બળે કાશ્મીરને દેશથી અલગ કરવાની કોશિશ કરી, પરંતુ અમે 370 હટાવીને સમાન અધિકાર લાગુ કર્યા છે.

