Bahrain Force Majeure Oil Crisis: ઈરાન જંગ વચ્ચે બહેરીને એવી જાહેરાત કરી દીધી છે, જેનાથી દુનિયાની ઈકોનોમીમાં હલચલ મચવી નક્કી છે. હકીકતમાં, ઈરાને બહેરીનની એકમાત્ર તેલ રિફાઈનરી પર મિશાઈલથી હુમલો કર્યો તો ઉત્પાદન ઠપ થઈ ગયું અને તેલની સપ્લાય બંધ થઈ ગઈ. હાલાત જોઈને બહેરીને પોતાના તમામ શિપમેન્ટ અને કરારો પર ‘ફોર્સ મેજ્યોર’ લાગુ કરી દીધું છે. આ શબ્દ સાંભળવામાં ભલે ટેકનિકલ લાગે, પરંતુ તેની સીધી અસર તમારા ખિસ્સા, રસોડાના બજેટ અને દેશના અર્થતંત્ર પર પડવાની છે.
પહેલા જાણો કે ફોર્સ મેજ્યોર આખરે હોય છે શું?
સરળ શબ્દોમાં કહીએ તો ફોર્સ મેજ્યોર કાયદાની દુનિયાનો એ ‘સેફ્ટી વાલ્વ’ છે, જેનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ કંપની કે દેશ એવી આફતનો શિકાર બની જાય જે તેના વશમાં ન હોય. જ્યારે બે દેશો કે કંપનીઓ વચ્ચે વ્યાપારિક સમજૂતી થાય છે, ત્યારે તેમાં એક કલમ જોડવામાં આવે છે. આ ધારા કહે છે કે જો ભવિષ્યમાં યુદ્ધ, ભૂકંપ, પૂર, મહામારી કે કોઈ મોટા હુમલા જેવી ઘટના બની જાય છે, તો અસરગ્રસ્ત પક્ષ પોતાનું વચન પૂરું કરવાની જવાબદારીમાંથી મુક્ત થઈ જશે.
બહેરીનના કિસ્સામાં આનો અર્થ
બહેરીનની રિફાઈનરી પર હુમલો થવાને કારણે હવે તે તેલ સાફ કરવા કે તેની નિકાસ કરવાની સ્થિતિમાં નથી. ‘ફોર્સ મેજ્યોર’ જાહેર કરીને બહેરીને દુનિયાને જણાવી દીધું છે કે અમે તેલની સપ્લાય કરી શકતા નથી, અને આ માટે અમારા પર કોઈ દંડ કે કાનૂની કાર્યવાહી કરી શકાય નહીં કારણ કે આ હુમલો અમારા નિયંત્રણની બહાર હતો.
કેમ આ ચિંતાજનક છે?
બહેરીન ભલે કદમાં નાનો દેશ હોય, પરંતુ તેલની રમતમાં તે મોટો પ્લેયર છે. બહેરીનની સરકારી કંપની BAPCO રિફાઈનરી ખાડી વિસ્તારની સૌથી જૂની રિફાઈનરીઓમાંની એક છે. રિફાઈનરી ઠપ થવાનો અર્થ છે કે ત્યાંથી નીકળતું ડીઝલ, પેટ્રોલ, જેટ ફ્યુઅલ અને નેફ્થા હવે બજારમાં નહીં આવે. આ હુમલો માત્ર એક રિફાઈનરી પર નહીં, પરંતુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સુરક્ષા પર એક મોટો સવાલ છે.
દુનિયાભરમાં કેમ મચશે હલચલ?
કાચા તેલની કિંમતોમાં આગ: સપ્લાય ઓછી થવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો વધવી નક્કી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ તણાવ ઓછો નહીં થાય, તો કાચું તેલ 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી શકે છે.
જહાજોનો વીમો અને માલસામાનની હેરફેર મોંઘી: યુદ્ધ ક્ષેત્ર પાસેથી પસાર થતા જહાજોનું ‘ઈન્સ્યોરન્સ પ્રીમિયમ’ રાતોરાત વધી જાય છે, જેની અસર સમુદ્ર માર્ગે આવતી દરેક ચીજવસ્તુ પર પડે છે.
શેરબજારોમાં ઘટાડો: તેલ સંકટનો અર્થ છે મોંઘવારી વધવી અને કંપનીઓનો નફો ઓછો થવો, જેના કારણે વૈશ્વિક બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ભારત પર તેની શું અને કેટલી અસર થશે?
ભારત પોતાની જરૂરિયાતનું 85% કાચું તેલ વિદેશથી મંગાવે છે. ભલે ભારત બહેરીન પાસેથી સીધું તેલ ન લેતું હોય, પણ તેની અસર ભારત સુધી જરૂર પહોંચશે:
મોંઘું પેટ્રોલ-ડીઝલ: ભારત તેલ ‘વૈશ્વિક બજાર ભાવ’ પર ખરીદે છે. જો દુનિયામાં તેલ મોંઘું થશે, તો ભારતીય તેલ કંપનીઓએ (IOC, BPCL, HPCL) વધુ કિંમત ચૂકવવી પડશે અને તેનો બોજ આમ આદમી પર આવશે.
ખાવા-પીવાની વસ્તુઓ મોંઘી: જો ડીઝલ મોંઘું થશે, તો ટ્રકોનું ભાડું વધશે, જેનાથી શાકભાજી, ફળ અને અનાજ મોંઘા થઈ જશે.
રૂપિયો નબળો પડશે: તેલ ખરીદવા માટે ભારતે ડોલરમાં ચુકવણી કરવી પડે છે. મોંઘા તેલને કારણે ડોલરની માંગ વધશે અને રૂપિયો નબળો પડશે, જેનાથી વિદેશી શિક્ષણ અને ઈલેક્ટ્રોનિક સામાન મોંઘો થશે.
વિકાસ કાર્યો પર અસર: તેલ આયાત પર વધુ પૈસા ખર્ચ થવાથી સરકારની રાજકોષીય ખાધ વધી શકે છે, જેનાથી વિકાસ કાર્યો માટે ફંડ ઓછું બચશે.
શું ભારત પાસે કોઈ ‘પ્લાન-બી’ છે?
ભારત અત્યારે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં સસ્તું તેલ ખરીદી રહ્યું છે, જે ખાડી દેશો પરની આપણી નિર્ભરતા ઘટાડે છે. આ સિવાય ભારત પાસે જમીન નીચે મોટા તેલ ભંડાર (Strategic Petroleum Reserves) છે, જે કટોકટીમાં કામ આવી શકે છે. ભારત ઈરાક અને યુએઈ (UAE) જેવા દેશો પાસેથી પોતાની સપ્લાય વધારવાનો પ્રયાસ કરી શકે છે.

