Dalai Lama Epstein Files: એપ્સટીન ફાઇલ્સમાં નામ આવતા દલાઈ લામાની ઓફિસે તોડ્યું મૌન, જાણો ધર્મશાળાથી જારી કરાયેલા નિવેદનમાં શું કહેવાયું!

Arati Parmar
2 Min Read

Dalai Lama Epstein Files: તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ જેફરી એપ્સટીન સાથે સંબંધ હોવાના સમાચારો પર મૌન તોડ્યું છે. દલાઈ લામાની ઓફિસે અમેરિકન જાતીય ગુનેગાર અને તસ્કર જેફરી એપ્સટીન સાથે સંબંધિત ફાઇલોમાં પોતાનું નામ સામે આવવાના અહેવાલો પર સ્પષ્ટતા જારી કરી છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળા સ્થિત દલાઈ લામા ઓફિસ દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમે સ્પષ્ટપણે પુષ્ટિ કરીએ છીએ કે પરમ પાવને ક્યારેય જેફરી એપ્સટીન સાથે મુલાકાત કરી નથી અને ન તો તેમણે પોતાની તરફથી કોઈને પણ તેમની સાથે મળવા અથવા વાતચીત કરવાની પરવાનગી આપી છે.’

જેફરી એપ્સટીનને ક્યારેય નથી મળ્યા દલાઈ લામા

દલાઈ લામાની ઓફિસથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘એપ્સટીન ફાઇલ્સ સાથે જોડાયેલા કેટલાક તાજેતરના મીડિયા રિપોર્ટ અને સોશિયલ મીડિયા પોસ્ટમાં ૧૪મા દલાઈ લામાને જેફરી એપ્સટીન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ વાતોમાં કોઈ સત્ય નથી. પરમ પાવન ૧૪મા દલાઈ લામા ક્યારેય જેફરી એપ્સટીનને મળ્યા નથી અને ન તો તેમણે પોતાની તરફથી કોઈને તેમને મળવા અથવા વાતચીત કરવાની મંજૂરી આપી છે.’ ખરેખર, અનેક મીડિયા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે દલાઈ લામાનું નામ એપ્સટીન ફાઇલોમાં ‘૧૬૯’ વાર નોંધાયેલું છે. જોકે, એવી કોઈ ફાઇલ સામે આવી નથી, જેમાં દલાઈ લામાનું નામ હોય. તિબેટીયન કાર્યકર્તાઓએ આ વાત પર ભાર મૂક્યો છે કે માત્ર ઉલ્લેખ હોવો એ કોઈ ગુનાનો પુરાવો નથી.

- Advertisement -

જેફરી એપ્સટીનની ફાઇલ્સમાં શું છે?

અમેરિકન ન્યાય વિભાગે ફાઇનાન્સર જેફરી એપ્સટીનની તપાસ સાથે જોડાયેલી ફાઇલોનો એક મોટો જથ્થો જારી કર્યો છે, જેમાં ૩ મિલિયનથી વધુ પાનાના રેકોર્ડ, ૨,૦૦૦ વીડિયો અને ૧,૮૦,૦૦૦ તસવીરો સામેલ છે. ત્યારબાદ બ્રિટનના ભૂતપૂર્વ પ્રિન્સ એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસર અને ભારતીય ફિલ્મ નિર્માતા મીરા નાયર સહિત અનેક જાણીતી હસ્તીઓના નામ તેમાં સામેલ હોવાના સમાચાર આવી રહ્યા છે.

કોણ છે જેફરી એપ્સટીન?

જેફરી એપ્સટીન અમેરિકાની એક વિવાદાસ્પદ વ્યક્તિ હતી. તેનું ૨૦૧૯માં ન્યૂયોર્કની જેલમાં મૃત્યુ થયું હતું, જ્યારે તે સગીર છોકરીઓ સાથે જોડાયેલા ફેડરલ સેક્સ-ટ્રાફિકિંગના આરોપોમાં કેસની રાહ જોઈ રહ્યો હતો. તેના મૃત્યુને સત્તાવાર રીતે આત્મહત્યા ગણાવવામાં આવી હતી.

- Advertisement -
Share This Article