India Bangladesh Border Dispute: બાંગ્લાદેશે ભારત સાથે જોડાયેલી સરહદ પર ૬૮ પોઇન્ટ્સ પર નવો ડખ્ખો શરૂ કરી દીધો છે. બાંગ્લાદેશની સરકારે ભારત-બાંગ્લાદેશ સરહદ પર કાંટાળા તારની વાડ લગાવવા અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના નિર્માણને લઈને ભારત સામે ઔપચારિક રીતે વિરોધ વ્યક્ત કર્યો છે. બાંગ્લાદેશનો આક્ષેપ છે કે આનાથી વર્તમાન દ્વિપક્ષીય પ્રક્રિયાઓનું ઉલ્લંઘન થયું છે. ઢાકાએ નવી દિલ્હીને જણાવ્યું છે કે સરહદ પર ૬૮ જગ્યાઓ પર વાડ લગાવવાના પ્રોજેક્ટ્સમાં કેટલીય પ્રકારની અનિયમિતતાઓ કે ખામીઓ જોવા મળી છે. તેણે કહ્યું છે કે જ્યાં સુધી આ અનિયમિતતાઓને સુધારવામાં નહીં આવે ત્યાં સુધી અન્ય ૮૬ જગ્યાઓ પર કાંટાળા તારની વાડ લગાવવાનું કામ શરૂ કરી શકાય નહીં.
બાંગ્લાદેશ તરફથી આ અઠવાડિયે ઢાકામાં ભારતીય હાઈકમિશનને આ અંગે એક સંદેશ મોકલવામાં આવ્યો છે. આ સંદેશમાં બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતીય સત્તાવાળાઓએ બાંગ્લાદેશની સંમતિ લીધા વિના સરહદના ૧૫૦ વારના દાયરામાં કેટલીય પ્રવૃત્તિઓ કરી છે. બાંગ્લાદેશે કહ્યું છે કે આ પ્રવૃત્તિઓમાં કાંટાળા તારની વાડ લગાવવી, રસ્તાઓ બનાવવા કે તેનું સમારકામ કરવું, બોર્ડર પોસ્ટ કે અન્ય માળખા બનાવવા અને પુલ, નાળા, પાળા કે આ પ્રકારના સુરક્ષા માળખા બનાવવા સામેલ છે.
બાંગ્લાદેશે ભારતીય હાઈકમિશનને મોકલ્યો સંદેશ
અહેવાલ મુજબ બાંગ્લાદેશનું કહેવું છે કે આ પ્રવૃત્તિઓ બાંગ્લાદેશ-ભારત સરહદ સત્તાવાળાઓની ૧૯૭૫ ની સંયુક્ત માર્ગદર્શિકાઓ અને સરહદી વિસ્તારોમાં પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી વર્તમાન દ્વિપક્ષીય સમજણ અને પ્રક્રિયાઓની વિરુદ્ધ છે. તેથી ઢાકાને આશા છે કે ભારત આ અનિયમિતતાઓને દૂર કરવા માટે જરૂરી પગલાં ઉઠાવશે. આ સંદેશ બાંગ્લાદેશ તરફથી ત્યારે આપવામાં આવ્યો છે જ્યારે નવી દિલ્હીમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) અને ભારતના સીમા સુરક્ષા બળ (BSF) વચ્ચે ડાયરેક્ટર જનરલ સ્તરની બેઠક થઈ રહી છે.
બુધવારે વાતચીતનો ત્રીજો દિવસ હતો જેમાં બંને પક્ષોએ બેઠકના સંમત મિનિટ્સના ડ્રાફ્ટને આખરી ઓપ આપવા પર ચર્ચા કરી. ચાર દિવસની આ બેઠક આજે એટલે કે ગુરુવારે પૂરી થઈ રહી છે. રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું છે કે અગાઉની જેમ આ વખતે બંને પક્ષો બેઠક પછી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ નહીં કરે પરંતુ માત્ર એક પ્રેસ રિલીઝ જાહેર કરશે. BGB-BSF ની આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત સતત કથિત ‘ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો’ ને મોકલી રહ્યું છે. એક આંકડા મુજબ અત્યાર સુધી લગભગ ૫૦૦૦ ‘ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો’ ને સરહદ પાર મોકલવામાં આવ્યા છે.
બાંગ્લાદેશે ગણાવ્યું માનવાધિકારનું ઉલ્લંઘન
બાંગ્લાદેશે આ રીતે લોકોને બળજબરીથી મોકલવાને ગેરકાનૂની, માનવાધિકારોની વિરુદ્ધ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. જ્યારે ભારતનું કહેવું છે કે તે પોતાના સ્થાનિક કાયદાઓ અને સ્થાપિત પ્રક્રિયાઓ મુજબ દસ્તાવેજો વગરના વિદેશી નાગરિકોને તેમના દેશ પાછા મોકલી રહ્યું છે. બાંગ્લાદેશના રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું કે બાંગ્લાદેશે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પણ આ જ પ્રકારની સરહદ પ્રવૃત્તિઓ, જેમાં વાડ લગાવવાના પ્રયાસો પણ સામેલ હતા તેને લઈને ભારત સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. પોતાની તાજેતરની વાતચીતમાં ઢાકાએ ફેબ્રુઆરી ૨૦૨૫ અને મે ૨૦૨૬ ની વચ્ચે સરહદ પર મળેલી અનિયમિતતાઓનો ઉલ્લેખ કર્યો.
બાંગ્લાદેશે આક્ષેપ કર્યો છે કે ભારતે બાંગ્લાદેશની સંમતિ વિના સરહદના ૧૫૦ વારના દાયરામાં કેટલીય પ્રવૃત્તિઓ કરી. આવી ઘટનાઓ કુલ ૬૮ જગ્યાઓ પર જોવામાં આવી. કેટલાક કિસ્સાઓમાં એક જ જગ્યા પર કેટલીય વાર નિયમોનું ઉલ્લંઘન થયું. આમાં કાંટાળા તારની વાડ લગાવવાના પ્રયાસના ૩૯ કિસ્સા, રસ્તો બનાવવા કે સમારકામ કરવાના ૩૩ કિસ્સા, સરહદ ચોકીઓ કે અન્ય માળખા બનાવવાના ૨૭ કિસ્સા, પુલ, નાળા, પાળા કે આ પ્રકારના સુરક્ષા માળખા બનાવવાના ૨૦ કિસ્સા અને પાયાના માળખા સાથે જોડાયેલી ૧૮ અન્ય પ્રવૃત્તિઓ સામેલ હતી.

