Iran Israel War Updates: શનિવાર મોડી સાંજે દક્ષિણ ઈઝરાયેલમાં ઈરાનના મિસાઈલ હુમલાને કારણે ભારે અફરાતફરી મચી ગઈ છે. ઈરાને ઈઝરાયેલની મુખ્ય ન્યુક્લિયર સુવિધા પાસે આવેલા શહેરો ડિમોના અને અરાદને મિસાઈલથી નિશાન બનાવ્યા છે, જેમાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ વડાપ્રધાન નેતન્યાહુએ તેને દેશ માટે એક મુશ્કેલ સાંજ ગણાવી હતી. હવે સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો સામે આવ્યા છે, જેમાં મિસાઈલ રહેણાંક વિસ્તારમાં હુમલો કરતી કેદ થઈ છે.
ઈઝરાયેલનું પરમાણુ શહેર
ડિમોના શહેરમાં ભારતીય સમુદાયની મોટી વસ્તી રહે છે, જેના કારણે તેને ‘લિટિલ ઈન્ડિયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં જ ‘શિમન પેરેસ નેગેવ ન્યુક્લિયર સેન્ટર’ આવેલું છે, જેને ડિમોના રિએક્ટર તરીકે ઓળખવામાં આવે છે. આ ઈઝરાયેલની મુખ્ય ન્યુક્લિયર સુવિધા છે, જે ડિમોના શહેરથી 13 કિમી દૂર છે.
Footage shows the moment an Iranian ballistic missile struck the southern city of Dimona this evening. pic.twitter.com/fCYwtgAj5x
— Emanuel (Mannie) Fabian (@manniefabian) March 21, 2026
ડિમોના પર હુમલામાં 47 લોકો ઘાયલ
ઈઝરાયેલી મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ડિમોનામાં મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા 47 લોકો ઘાયલ થયા છે. અહીં ભારે વોરહેડ ધરાવતી એક ઈરાની મિસાઈલ ઈમારતોની વચ્ચે આવી પડી હતી. આનાથી આસપાસના ઘરોને ભારે નુકસાન પહોંચ્યું અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. ઘાયલોમાં એક 12 વર્ષનો છોકરો પણ છે, જેની હાલત છરરા વાગવાને કારણે ગંભીર છે.
More footage showing an interceptor trying yet failing to down and the resulting impact of an Iranian ballistic missile earlier in the Southern Israeli city of Dimona. pic.twitter.com/L17NnVwBBo
— OSINTdefender (@sentdefender) March 21, 2026
પરમાણુ શહેર ડિમોના પર મિસાઈલ હુમલાએ ઈઝરાયેલની મહાશક્તિશાળી ગણાતી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પર સવાલ ઉભા કરી દીધા છે. ઈઝરાયેલે ઈરાની મિસાઈલોને રોકવા માટે ઇન્ટરસેપ્ટર લોન્ચ કર્યા હતા, પરંતુ તેઓ દુશ્મનના હથિયારને તોડી પાડવામાં નિષ્ફળ રહ્યા. ઈઝરાયેલી સેનાએ કહ્યું છે કે તે મિસાઈલ ડિફેન્સ કેમ નિષ્ફળ ગયું તેની તપાસ કરી રહી છે.
ઈઝરાયેલમાં ‘લિટિલ ઈન્ડિયા’
સમાચાર એજન્સી પીટીઆઈના એક રિપોર્ટ અનુસાર, ડિમોનાને લાંબા સમયથી ‘લિટિલ ઈન્ડિયા’ નામથી ઓળખવામાં આવે છે. અહીં ભારતીય-યહૂદી સમુદાયની મજબૂત હાજરી છે. આમાંના ઘણા લોકો પોતાના મૂળ મહારાષ્ટ્ર સાથે જોડે છે. આ શહેરની શેરીઓમાં ભારતીય દુકાનો હારબંધ લાગેલી છે. અહીં મોટી સંખ્યામાં લોકો મરાઠી ભાષા બોલે છે અને ભારત સાથેના સાંસ્કૃતિક સંબંધો સ્પષ્ટપણે જોવા મળે છે.
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેને ખૂબ મુશ્કેલ સાંજ ગણાવી અને કહ્યું કે તેમણે અરાદના મેયર સાથે વાત કરી છે અને અસરગ્રસ્ત લોકોને સરકાર તરફથી પૂરો સહયોગ આપવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે અમે તમામ મોરચે અમારા દુશ્મનો પર હુમલા ચાલુ રાખવા માટે મક્કમ છીએ. ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે ઈરાન પર જાણીજોઈને નાગરિકોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, ઈરાને કહ્યું છે કે ઈઝરાયેલનું આકાશ હવે સંપૂર્ણપણે રક્ષાવિહીન થઈ ગયું છે.

