Kyiv Shooting and Hostage Crisis: બંદૂકધારીએ પાંચની હત્યા કરી લોકોને બનાવ્યા બંધક, યુક્રેન પોલીસે ઓપરેશન હાથ ધરી હુમલાખોરને કર્યો ઠાર, ઝેલેન્સ્કીએ વ્યક્ત કર્યું દુઃખ

Arati Parmar
2 Min Read

Kyiv Shooting and Hostage Crisis: યુક્રેનની રાજધાની કીવમાં એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. બાદમાં પોલીસે એક ઓપરેશન દરમિયાન હુમલાખોરને એક સુપરમાર્કેટની અંદર ઠાર માર્યો હતો, જ્યાં તેણે લોકોને બંધક બનાવી રાખ્યા હતા. યુક્રેનના ગૃહ પ્રધાન ઇહોર ક્લિમેન્કોએ જણાવ્યું હતું કે બંદૂકધારીની ધરપકડ કરવાના પ્રયાસ દરમિયાન તેને મારી નાખવામાં આવ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે શંકાસ્પદ વ્યક્તિએ સુપરમાર્કેટની અંદર લોકોને બંધક બનાવી લીધા હતા. આ દરમિયાન તેણે પોલીસ અધિકારીઓ પર પણ ગોળીબાર કર્યો હતો.

5 ના મોત, 10 હોસ્પિટલમાં દાખલ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રાજધાનીના એક રહેણાંક વિસ્તારમાં થયેલા આ ગોળીબાર બાદ ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને 10 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર માહિતી આપતા લખ્યું, ‘યુક્રેનના ગૃહ પ્રધાન ઇહોર ક્લિમેન્કોએ હમણાં જ જણાવ્યું છે કે કીવમાં નાગરિકો પર ગોળીબાર કરનારા હુમલાખોરને ઠાર કરવામાં આવ્યો છે.’ તેમણે આ ઘટના અંગે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

- Advertisement -

સ્થાનિક મીડિયામાં ચલાવવામાં આવેલા ઘટના સ્થળના ફૂટેજમાં એક વ્યક્તિ બંદૂક લઈને અન્ય વ્યક્તિ પર નજીકથી ગોળી ચલાવતી જોવા મળે છે. અન્ય ફૂટેજમાં પોલીસની ટુકડીઓ મોલ સંકુલની અંદર આડ લેતી જોવા મળી હતી, જ્યારે ગોળીઓનો અવાજ સંભળાઈ રહ્યો હતો.

ચાર બંધકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

અધિકારીઓએ જણાવ્યું કે ઓછામાં ઓછા ચાર બંધકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. ઓછામાં ઓછા 10 લોકો હાલમાં ઈજાઓ અને આઘાતને કારણે હોસ્પિટલમાં દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના કીવના દક્ષિણ ભાગમાં આવેલા હોલીસીવ્સ્કી જિલ્લામાં બની હતી. હુમલાખોરનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી. ઝેલેન્સ્કીએ કહ્યું કે તમામ સંજોગોની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે અધિકારીઓને ઝડપી ગતિએ તપાસ કરવા જણાવ્યું છે.

- Advertisement -
Share This Article