પાકિસ્તાનના ગિલગિટમા સરકાર વિરુદ્ધ દેખાવ, ભારતના સમર્થનમાં સૂત્રોચાર
Friday, 01 September 2023
પાકિસ્તાનના ગિલગિટમા સરકાર વિરુદ્ધ દેખાવ, ભારતના સમર્થનમાં સૂત્રોચાર
કારાકોરમ હાઈવે બ્લોક, વીડિયો વાયરલ
સેંકડો લોકોએ શિયા મૌલવીની ધરપકડના વિરોધમાં દેખાવો કર્યાં : ધર્મગુરુને છોડી મૂકવા રજૂઆત
નવી દિલ્હી : પાકિસ્તાનની સરકાર સામે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં વિરોધ વધ્યો છે. શિયા મૌલવી શેખ બાકિર અલ હુસૈનીની ઈશનિંદાના કેસમાં ધરપકડ થઈ પછી સેંકડો પ્રદર્શનકારીઓએ દેખાવો કર્યા હતા અને ભારત સાથે જોડાઈ જવા માટે નારા લગાવ્યા હતા.
ગિલગિટમાં શિયા મૌલવી શેખ બાકિર અલ હુસૈનની ધરપકડ થઈ પછી ઉગ્ર વિરોધ ઉઠયો છે. પાકિસ્તાનની સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને સેંકડો સમર્થકોએ મૌલવીને છોડી મૂકવાની માગણી કરી હતી. ગિલગિટમાં સેંકડો લોકોએ એકઠા થઈને કારાકોરમ હાઈવે બ્લોક કરી દીધો હતો અને ભારતમાં જોડાઈ જવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. ચલો ચલો કારગિલ ચલો એવું બોલતી ભીડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
પ્રદર્શનકારીઓના નેતાઓએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સરકાર તેમને ધમકાવી રહી છે. જો આવું થશે તો ગૃહયુદ્ધ ફાટી નીકળશે અને ગિલગિટ ભારત સાથે જોડાઈ જશે.
ધર્મગુરુની ધરપકડ ઈશનિંદાના કેસમાં થઈ છે. તેમના પર આરોપ મૂકાયો છે કે તેમણે મોહમ્મદ પૈયગમ્બર સાહેબ અંગે અયોગ્ય ટીપ્પણી કરી છે. જોકે, શિયા મૌલવીએ એ આરોપને નકારી દીધા હતા અને તેમની વિરૂદ્ધ ષડયંત્ર રચાયું હોવાનું કહ્યું હતું. ગિલગિલના સ્થાનિક નેતાઓએ પાકિસ્તાન સરકાર પર આરોપ લગાવ્યો હતો કે શિયા મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવામાં આવે છે અને તેમની સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે. જે ગૃહયુદ્ધ નોતરશે.
