નવી દિલ્હી, તા. 16 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગલાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ સાથે ફોન ઉપર વાત કરી હતી.આ વાતચીતમાં બાંગલાદેશની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પીએમ મોદીએ બાંગલાદેશ લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશિલ થવા ઉપર ભારતના સમર્થનને દોહરાવ્યું હતું.

આ ઉપરાંત પ્રોફેસર યુનુસે બંગલાદેશમાં હિંદૂઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષા અને સંરક્ષણનું આશ્વાસન આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ મારફતે વાતચીતની જાણકારી આપી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે બાંગલાદેશના મુખ્ય સલાહકાર સાથે વાત કરીને બાંગલાદેશમાં લઘુમતીઓના હિતની સુરક્ષા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારત હંમેશા બાંગલાદેશ સાથે પોતાના સંબંધ મજબૂત કરવા માટે તત્પર છે. ઉલ્લેખનીય છે કે બંગલાદેશમાં શેખ હસીનાના નેતૃત્વની સરકારના પતન બાદ આઠમી ઓગસ્ટે મોહમ્મદ યુનુસે મુખ્ય સલાહકારના રૂપમાં શપથ લીધા હતા. વડાપ્રધાન ગઇકાલે જ પોતાના પ્રવચનમાં બાંગલાદેશમાં લઘુમતીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

