Supreme Court: સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં કહ્યું કે બે અપરિણીત પુખ્ત વયના વ્યક્તિઓ વચ્ચે પરસ્પર સહમતિથી બનેલા શારીરિક સંબંધને કોઈ પણ વ્યક્તિના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવવાનો આધાર બનાવી શકાય નહીં. બેન્ચે આ ચુકાદો તે કેસમાં સંભળાવ્યો, જેમાં તેલંગાણા રાજ્ય સ્તરીય પોલીસ ભરતી બોર્ડે એક ઉમેદવારની નિમણૂક રદ કરી દીધી હતી. આ કાર્યવાહી એક જૂના ફોજદારી કેસના આધારે કરવામાં આવી હતી, જે એક નિષ્ફળ પ્રેમ સંબંધ સાથે જોડાયેલો હતો.
દરેક સંબંધ લગ્નમાં જ બદલાય તે જરૂરી નથી હોતું: સુપ્રીમ કોર્ટ
જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે સ્પષ્ટ કર્યું કે માત્ર એટલા માટે કોઈ સંબંધને ખોટો ન ઠેરવી શકાય કારણ કે તે લગ્ન સુધી ન પહોંચી શક્યો. અદાલતે કહ્યું કે દરેક સંબંધ લગ્નમાં જ બદલાય, તે જરૂરી નથી હોતું અને તેનાથી કોઈ એક પક્ષને છેતરપિંડી કરનાર ન માની શકાય. એવો કોઈ કાયદો નથી જે બે અપરિણીત પુખ્ત વ્યક્તિઓને સહમતિથી પોતાની પસંદગીના સંબંધ રાખતા રોકતો હોય.
એ માનવાનો કોઈ આધાર નથી કે એક પક્ષે બીજા પક્ષને છેતર્યો છે
માત્ર એટલા માટે કે સંબંધ લગ્નમાં તબદીલ ન થયો, એ માનવાનો કોઈ આધાર નથી કે એક પક્ષે બીજાને છેતર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અપીલકર્તા અને પીડિતા પાડોશી હતા. ચાર વર્ષ સુધી તેમની વચ્ચે સંબંધ હતા. જ્યાં સુધી કોઈ આરોપને સાબિત કરવામાં ન આવે, ત્યાં સુધી વ્યક્તિને નિર્દોષ માનવામાં આવશે.
લગ્નનું વચન આપીને દુષ્કર્મ મામલે પણ અદાલતે કરી ટિપ્પણી
કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે લગ્નનું વચન આપીને દુષ્કર્મ મામલે લોક અદાલતમાં સમાધાન કરવાનો અર્થ એ નથી કે આરોપીએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. કોર્ટે કહ્યું કે કોઈ એમ્પ્લોયર માત્ર એટલા માટે કોઈ ખરાબ પરિણામ ન કાઢી શકે કે કોઈ ક્રિમિનલ કેસ સમાધાન સાથે ખતમ થયો છે, જ્યાં સુધી આ વાતનો કોઈ પુરાવો ન હોય કે ફરિયાદ કરનાર પર સમાધાન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
લગ્ન પૂર્વ શારીરિક સંબંધ સામાન્ય થતા જાય છે: સુપ્રીમ કોર્ટ
લગ્નપૂર્વ સંબંધોના મુદ્દા પર, સર્વોચ્ચ અદાલતે ટિપ્પણી કરી કે આવા સંબંધો ઝડપથી સામાન્ય થતા જાય છે અને જ્યાં બે પુખ્ત વ્યક્તિઓ વચ્ચે સંબંધ ઘણા સમય સુધી ચાલે છે, ત્યાં કાયદેસર સહમતિની ધારણા હોય છે. અદાલતે નોંધ્યું કે ઉમેદવાર અને ફરિયાદ કરનાર પાડોશી હતા અને ઘણા વર્ષોથી એકબીજાને જાણતા હતા. ન્યાયાલયે કહ્યું કે રેકોર્ડમાં એવો કોઈ પુરાવો નથી જેનાથી સમાધાન કરાવવા માટે બળપ્રયોગ, ધમકી કે દબાણનો સંકેત મળે.

