Rajkot Contaminated Water: રાજકોટ સ્માર્ટ સિટીના દાવાઓ ફેઈલ: ખુદ મેયરના જ વોર્ડમાં વિતરણ થયું દૂષિત પાણી, રિપોર્ટમાં જોખમી બેક્ટેરિયા મળતાં હળકંપ

Arati Parmar
5 Min Read

Rajkot Contaminated Water: સ્માર્ટ સિટીના મોટા-મોટા દાવાઓ વચ્ચે રાજકોટ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના વોટર સપ્લાય અને જળાશયોની વિતરણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ આખા મામલામાં સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, શહેરના પ્રથમ નાગરિક એવા ખુદ મેયરના પોતાના જ વિસ્તારમાં પ્રદૂષિત પાણી વિતરણ થતું હોવાનો ભાંડો ફૂટ્યો છે. મનપા પ્રશાસન લોકોને શુદ્ધ અને જંતુમુક્ત પીવાનું પાણી પૂરું પાડવાની ગુલબાંગો પોકારે છે, પરંતુ વાસ્તવિકતામાં નાગરિકોના ઘર સુધી રોગચાળો વહેંચાઈ રહ્યો છે.

મેયરના વોર્ડ નંબર ૭ સહિત ૪, ૬ અને ૮ માં જોખમી બેક્ટેરિયા મળ્યા

મનપાના આરોગ્ય અને વોટર વર્ક્સ વિભાગ દ્વારા લેબોરેટરી ચકાસણી માટે લેવાયેલા નમૂનાના સત્તાવાર રિપોર્ટમાં આ મોટો ભાંડો ફૂટ્યો છે. રાજકોટ મનપાએ શહેરના તમામ ૧૮ વોર્ડમાંથી અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ ૮,૨૧૪ પીવાના પાણીના સેમ્પલ એકત્ર કર્યા હતા. આ સેમ્પલની સરકારી લેબોરેટરીમાં તપાસ કરતાં ૬ જેટલા પાણીના નમૂના સંપૂર્ણપણે ફેઈલ સાબિત થયા છે. રિપોર્ટ અનુસાર, ખુદ મેયર ડો. નેહલ શુક્લના પોતાના વોર્ડ નંબર ૭ ઉપરાંત વોર્ડ નંબર ૪, ૬ અને ૮ ના વિસ્તારોમાં વિતરણ થતા પાણીમાં માનવ શરીરને ભારે નુકસાન પહોંચાડતા જોખમી બેક્ટેરિયાની હાજરી મળી આવી છે, જેનાથી હજારો પરિવારોના માથે પિત્ત, ડાયરિયા અને કમળા જેવા રોગચાળાનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે.

- Advertisement -

મુખ્ય સપ્લાય લાઇનમાં ભૂર્ગભ ગટરનું ગંદુ પાણી ભળી જતાં સર્જાયું મોટું જોખમ

તબીબી અને ટેકનિકલ તપાસ દરમિયાન આ ગંભીર સમસ્યા પાછળ મનપાની ડ્રેનેજ સિસ્ટમની ઘોર નાકામી જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. ભૂર્ગભ ગટરની જૂની લાઈનો લીકેજ થવાના કારણે ગટરનું અત્યંત ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી પીવાના પાણીની મુખ્ય સપ્લાય લાઇનની અંદર ભળી ગયું હતું. આ ભયાનક અને દૂષિત મિશ્રણ કોઈપણ જાતના ફિલ્ટરેશન વગર સીધું લોકોના ઘરની સિમેન્ટની ટાંકીઓ સુધી પહોંચી ગયું અને તેના કારણે જ પાણીમાં બેક્ટેરિયા ફેલાયા છે. તંત્રની આ આંતરિક ટેકનિકલ ખામી અને બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં મનપા વિરુદ્ધ ભારે જનરોષ જોવા મળી રહ્યો છે.

પાણીમાં બેક્ટેરિયા મળ્યાનો સ્વીકાર કરીને મેયર નેહલ શુક્લએ આપ્યું નિવેદન

આ ગંભીર અને સંવેદનશીલ વિવાદ અંગે શહેરના મેયર ડો. નેહલ શુક્લએ સત્તાવાર રીતે મીડિયા સમક્ષ નિવેદન આપતા સ્વીકાર્યું છે કે પાણીના કેટલાક સેમ્પલમાં બેક્ટેરિયા મળી આવ્યા છે. તેમણે બચાવ કરતા કહ્યું કે તંત્ર દ્વારા દર મહિને નિયમિત ચેકિંગ કરવામાં આવતું જ હોય છે. ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં આ પ્રકારની ચકાસણી ખૂબ જ જરૂરી હોય છે. જે જે ચોક્કસ સ્થળોએ લાઈનોમાં બેક્ટેરિયા અથવા લીકેજ જોવા મળ્યા છે, ત્યાં યુદ્ધના ધોરણે રિપેરિંગ અને સમારકામની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ આપી દેવાઈ છે.

- Advertisement -

નાગરિકોને પાણી ઉકાળીને પીવાની સલાહ, લાઈનોનું શુદ્ધિકરણ શરૂ કરાયું

પરિસ્થિતિની ગંભીરતાને જોતાં મનપાના વોટર વર્ક્સ વિભાગના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ક્લોરિનેશન અને શુદ્ધિકરણની બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. તંત્ર દ્વારા રાજકોટના નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે જો કોઈના પણ વિસ્તાર કે ઘરમાં સહેજ પણ ગંદુ, ડોળું કે વાસ મારતું પાણી આવતું હોય, તો તુરંત જ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમને જાણ કરવી. જ્યાં સુધી તમામ લાઈનોનું પ્રેશર શુદ્ધિકરણ ન થાય ત્યાં સુધી નાગરિકોને પોતાના સ્વાસ્થ્યની તકેદારીના ભાગરૂપે પાણી ફરજિયાત ઉકાળીને અથવા ગાળીને જ પીવાની કડક સલાહ આપવામાં આવી છે.

હાઈપ્રોફાઈલ સમીક્ષા બેઠકમાં દરરોજ ૨૦ મિનિટ પૂરતા દબાણથી પાણી આપવા આદેશ

આ દૂષિત પાણીના હોબાળા વચ્ચે મનપા ખાતે એક હાઈપ્રોફાઈલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં મેયર ડો. નેહલ શુક્લ, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષના નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા, દંડક સંજયસિંહ રાણા તેમજ સિટી એન્જિનિયરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તમામ વોર્ડના કોર્પોરેટરોએ પ્રજાની ફરિયાદો રજૂ કરી હતી. પદાધિકારીઓએ અધિકારીઓને આદેશ આપ્યો છે કે દરેક વોર્ડમાં શહેરીજનોને નિયમિત, ચોખ્ખું અને પૂરતા દબાણ સાથે દરરોજ મિનિમમ ૨૦ મિનિટ સુધી પાણીનું વિતરણ સુનિશ્ચિત કરવામાં આવે અને પાઇપલાઇન મેઇન્ટેનન્સની કામગીરી સમયમર્યાદામાં પૂરી થાય.

- Advertisement -

આ પણ વાંચો: Gujarat Lakhpati Didi Scheme Success: ગુજરાતમાં નારી શક્તિનો શંખનાદ: ૫.૯૬ લાખ બહેનો બની ‘લખપતિ દીદી’, સખી મંડળોના માધ્યમથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત – Newz Cafe

Share This Article