Religious conversion in Ahmedabad: ગુજરાતના તાપી અને સોનગઢમાં આદિવાસીઓને ધર્માંતરણ કરવામાં આવતું હોવાને લઈને વિવાદ ઊભો થયો છે, ત્યારબાદ હવે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં સ્થાનિકોનું ધર્માંતરણ કરાવવામાં આવતું હોવાનો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સત્સંગ નામે બ્રેઈન વોશ કરીને ઘરમાં ચર્ચ બનાવી સ્થાનિકોને પ્રેયર માટે એકઠા કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલો વીડિયો અમદાવાદના ઓઢવ વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં કોઇ ધાર્મિક કાર્યક્રમ કેટલાક લોકો પ્રાર્થના કરી રહ્યા છે, ત્યારે કેટલાક લોકો લાકડી અને ડંડા સાથે ધાકધમકી આપી ગુંડાગર્દી કરતા જોવા મળે છે. ઘટનાની જાણ થતાં પોલીસે દોડતી થઇ હતી. આ સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ પોલીસ અરજી કરી જણાવ્યું હતું કે યુવાનોને નાસ્તાની લાલચ આપી ધર્માંતરણ કરવામાં આવે છે. પોલીસે આ અરજીને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં ગેરકાયદે શંકાસ્પદ ધર્માંતરણ! 3 લોકોની અટકાયત
આ અગાઉ સપ્ટેમ્બર 2024માં અમદાવાદમાં ગેરકાયદે શંકાસ્પદ ધર્માંતરણનો મામલો સામે આવ્યો હતો. અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાં આવેલા કોમર્શિયલ બિલ્ડીંગમાં ખ્રિસ્તી સમાજના પ્રાર્થના સભાના હોલમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી હતી. મૂળ હિન્દુ ધર્મના લોકોનું ગેરકાયદે ધર્માંતરણ કરાતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં ત્રણ લોકોની અટકાયત કરાઈ હતી.