Navy Warships Drill in Gujarat Sea : પહલગામમાં આતંકી હુમલો થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ થઈ ગઈ છે. એકતરફ ભારત સરકારે સેનાને તમામ પ્રકારની છૂટ આપી છે, તો બીજીતરફ પાકિસ્તાન પણ યુદ્ધના ભયથી એલર્ટ થઈ ગયું છે. ભારતીય નૌકાદળે સુરક્ષાના ભાગરૂપે ગઈકાલથી ગુજરાતના તટ નજીક મોટાપાયે સૈન્ય અભ્યાસ શરૂ કરી દીધો છે. આ સૈન્ય અભ્યાસ 30 એપ્રિલથી ત્રણ મે સુધી ચાલશે. આ દરમિયાન કોઈપણ અસામાન્ય પ્રવૃત્તિને લઈ યુદ્ધજહાજોને એલર્ટ પર રખાયા છે.
ગુજરાતના તટ પાસે યુદ્ધ જહાજ તહેનાત
ભારતીચ નૌકાદળએ તાજેતરમાં જ દૂર દૂર સુધીના ટાર્ગેટ પર સટિક હુમલાની તૈયારીના ભાગરૂપે મિસાઈલોનું ટેસ્ટિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન યુદ્ધજહાજોથી અનેક એન્ટી-શિપ મિસાઈલ ફાયરિંગ કરી સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરાયું હતું. હવે ભારતીય નૌકાદળે અનેક પ્રકારના સૈન્ય અભ્યાસો શરૂ કરી દીધા છે અને તેમાં મિસાઈલ ફાયરિંગ અને યુદ્ધાભ્યાસ સહિતની બાબતો સામેલ છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં હજુ વધુ સૈન્ય અભ્યાસો અને પ્રદર્શનો યોજવાની યોજના છે. ભારતીય કોસ્ટ ગાર્ડે પણ ગુજરાતના તટથી દૂર આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ પાસે જહાજ તહેનાત કર્યા છે. અહીં દેરખેર વધારવા માટે કોર્સટ ગાર્ડ અને નૌકાદળ સાથી મળીને કામ કરી રહ્યા છે.
દુશ્મન દેશને ભારતની તાકાત બતાવવાની કવાયત
ભારતીય નૌકાદળના પ્રવક્તાએ સોશિયલ મીડિયા એક્સ પર કહ્યું કે, ‘અભ્યાસનો મુખ્ય હેતુ લાંબા અંતરના સટીક આક્રમક હુમલાઓ માટે પ્લેટફોર્મો, સિસ્ટમ અને ચાલક દળની તત્પરતા અને મનોબળ વધારવા માટેનો છે. ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં યુદ્ધજહાજો તહેનાત કર્યા છે. નૌકાદળની ક્ષમતા, તત્પરતા અને ભારતીય દરિયાઈ સરહદોની સુરક્ષા કરવાનો અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
અગાઉ યુદ્ધ જહાજથી મિસાઈલનું કર્યું હતું સફળ પરીક્ષણ
આ પહેલા 24 એપ્રિલે ભારતીય નૌકાદળના યુદ્ધજહાજ INS સૂરત દ્વારા અરબી સમુદ્ર પર ઝડપથી ઉડતા ટાર્ગેટ પર MR-SAM મિસાઈલ સિસ્ટમ વડે સચોટ રીતે નિશાન સાધી અને તેને નષ્ટ કરી દુશ્મન દેશને તાકાત બતાવી દીધી છે. MR-SAM સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલો અને અન્ય હવાઈ લક્ષ્યો સામે ખૂબ અસરકારક છે. આ પરીક્ષણ બાદ ભારતીય નૌસેનાએ X પર લખ્યું, ‘ભારતીય નૌસેનાના નવીનતમ સ્વદેશી માર્ગદર્શિત મિસાઇલ વિનાશક INS સુરતે સમુદ્રમાં લક્ષ્યને સફળતાપૂર્વક હિટ કર્યું, જે આપણી સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે.’