SEBI Mutual Fund Reforms: સેબીનો મોટો નિર્ણય: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થશે સસ્તું, ૩૦ વર્ષ પછી નિયમોમાં મોટા ફેરફારની તૈયારીમાં SEBI

Arati Parmar
3 Min Read

SEBI Mutual Fund Reforms: શેરબજાર નિયામક સેબી (SEBI) રોકાણકારોના ફાયદા માટે મ્યુચ્યુઅલ ફંડના નિયમોમાં મોટા ફેરફારો કરવાની તૈયારીમાં છે. બુધવારે યોજાનારી બોર્ડ મીટિંગમાં મ્યુચ્યુઅલ ફંડની ફી ઘટાડવા, IPO ના નિયમો સરળ બનાવવા અને રોકાણકારોના ખર્ચમાં પારદર્શિતા લાવવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. સાથે જ, સેબી પોતાના અધિકારીઓ માટે હિતોના સંઘર્ષ (Conflict of Interest) ને લગતા એક્સપર્ટ પેનલના અહેવાલ પર પણ વિચાર કરશે. આશરે ૩૦ વર્ષ પછી નિયમોની આટલી મોટી સમીક્ષા કરવામાં આવી રહી છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ ૮૦ લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિનું સંચાલન કરે છે.

ઓક્ટોબરમાં સેબીએ ઈક્વિટી અને ડેટ ફંડ્સમાં ટોટલ એક્સપેન્સ રેશિયો (TER) એટલે કે કુલ ખર્ચ ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સાથે જ બ્રોકરેજ ફી ઘટાડવાની પણ વાત કરી હતી. TER એ ફી છે જે સેબીના નિયમો મુજબ રોકાણકારો પાસેથી સ્કીમના ખર્ચ તરીકે લેવામાં આવે છે. તે મેનેજમેન્ટ અને ઓપરેશનલ ખર્ચને પહોંચી વળવા માટે રોકાણકારો પાસેથી વસૂલવામાં આવે છે. અત્યારે આ ફી ફંડના કદ મુજબ અલગ-અલગ સ્લેબમાં લાગે છે. સેબીએ પોતાના ડિસ્કશન પેપરમાં સૂચન આપ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડ જે TER ચાર્જ કરે છે, તેમાં ૧૫-૨૦ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરવો જોઈએ.

- Advertisement -

કેશ ટ્રાન્ઝેક્શનને લઈને મોટો પ્રસ્તાવ: બીજો એક મોટો પ્રસ્તાવ કેશ માર્કેટ ટ્રાન્ઝેક્શન માટે બ્રોકરેજને ૧૨ બેસિસ પોઈન્ટ્સથી ઘટાડીને ૨ બેસિસ પોઈન્ટ્સ કરવાનો છે. જ્યારે ડેરિવેટિવ ટ્રાન્ઝેક્શન માટે તેને ૫ બેસિસ પોઈન્ટ્સથી ઘટાડીને ૧ બેસિસ પોઈન્ટ કરવાની વાત છે. મામલાની જાણકારી રાખતા લોકોનું કહેવું છે કે બજારના મધ્યસ્થીઓ આનો વિરોધ કરી રહ્યા છે.

શું થશે ફાયદો?: સેબીનું કહેવું છે કે બ્રોકર અત્યારે રિસર્ચ અને સોદા કરાવવાના નામે વધુ ચાર્જ વસૂલે છે. રિસર્ચ કરવું એ ફંડ હાઉસનું પોતાનું કામ હોવાથી રોકાણકારો પાસેથી આ માટે અલગથી પૈસા લેવા તે ખોટું છે. સેબી મુજબ, રોકાણકારોએ અજાણતા એક જ વસ્તુ માટે બે વાર પૈસા ચૂકવવા પડે છે.

- Advertisement -

આનંદ રાઠી ગ્રુપના ચેરમેન આનંદ રાઠીના મતે બ્રોકરેજમાં સૂચિત ઘટાડો લાંબા ગાળે રોકાણકારોના હિતમાં ન હોઈ શકે. કોઈપણ મ્યુચ્યુઅલ ફંડનું પ્રદર્શન એ બાબત પર નિર્ભર છે કે બ્રોકર્સ તેમને કેટલી સારી ‘સેલ-સાઈડ રિસર્ચ’ પૂરી પાડે છે.

વધારાના ચાર્જ થઈ શકે છે ખતમ: સેબી ટેક્સ (STT, GST અને સ્ટેમ્પ ડ્યુટી) ને ફંડની ફીમાંથી બહાર રાખવા અને ફંડ હાઉસ દ્વારા લેવામાં આવતા કેટલાક વધારાના ચાર્જ નાબૂદ કરવા પર પણ મહોર મારી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો આ ફેરફારો લાગુ થશે, તો મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓની કમાણી થોડી ઓછી થઈ શકે છે, પરંતુ સામાન્ય રોકાણકારો માટે આ એક મોટી રાહત હશે.

- Advertisement -

IPO ને લઈને શું છે પ્લાન: અત્યારે જો કોઈ કંપની પોતાનો IPO લાવે છે, તો તેના દસ્તાવેજો એટલા જટિલ હોય છે કે સામાન્ય રોકાણકાર તેમને સમજી શકતો નથી. સેબી હવે એક સરળ અને નાની સમરી (સારાંશ) લાવવાનો વિચાર કરી રહી છે. આમાં કંપનીની કમાણી, જોખમ અને મુખ્ય માહિતી એક જ જગ્યાએ મળી જશે, જેથી રિટેલ રોકાણકારો સરળતાથી નિર્ણય લઈ શકે.

Share This Article