Toll Tax Fastag New Rules: હાઇવે પર મુસાફરી કરનારા લોકો માટે એક મોટા સમાચાર છે. ટોલ પ્લાઝા સાથે જોડાયેલા નિયમમાં એક મોટો ફેરફાર લાગુ થવા જઈ રહ્યો છે. આ ફેરફાર અંતર્ગત કેન્દ્ર સરકાર ૧ એપ્રિલ, ૨૦૨૬ થી ટોલ પ્લાઝા પર રોકડ (કેશ) ચુકવણી બંધ કરી દેશે. આ નિર્ણયથી હવે લાંબી કતારોમાં ઉભા રહેવું નહીં પડે. આ ઉપરાંત, છૂટા પૈસાને લઈને થતી માથાકૂટ પણ નહીં કરવી પડે. ૧ એપ્રિલથી હવે વાહન ચાલકોએ ટોલ ટેક્સની ચુકવણી ફાસ્ટૅગ (FASTag) અને યુપીઆઈ (UPI) દ્વારા કરવાની રહેશે. સરકારનું આ પગલું ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની દિશામાં પણ એક મોટું પગલું છે. સરકારનું કહેવું છે કે આ નવા નિર્ણયથી મુસાફરીમાં સમય પણ ઓછો લાગશે અને પૈસાની પણ બચત થશે.
સરકારના આ નિર્ણયથી ટોલ પ્લાઝા પર લાગતી લાંબી લાઈનો ઓછી થઈ જશે. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે ટોલ પ્લાઝાને કેશલેસ બનાવવા માટેની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી છે. જોકે, આ અંગે સત્તાવાર નોટિફિકેશન મળવાની રાહ જોવાઈ રહી છે.
ડિજિટલ ટ્રાન્ઝેક્શન વાળી નવી વ્યવસ્થા પૂરી રીતે લાગુ થયા બાદ ગાડીઓને કેશથી પેમેન્ટ કરવા માટે લાંબા સમય સુધી રોકાવું નહીં પડે. ખાસ વાત એ છે કે ડિજિટલ પેમેન્ટ થવાથી તેનો રેકોર્ડ સારી રીતે મેનેજ કરી શકાશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરના મતે દેશની ડિજિટલ ઇકોનોમી ઘણી તેજીથી આગળ વધી રહી છે. શરૂઆતમાં યુપીઆઈ દ્વારા ટોલ પર પેમેન્ટ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી હતી. સરકારના આ પગલાની ઘણા લોકોએ પ્રશંસા કરી હતી.
વળી, હવે ૧ એપ્રિલથી ટોલ પ્લાઝા પર ફાસ્ટૅગ અને યુપીઆઈથી જ પેમેન્ટ કરી શકાશે. આ દેશની ટોલ સિસ્ટમને આધુનિક બનાવવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

