Success Story of Ankush Sachdeva: પથ્થર પર પાણીની કોઈ ધારા સતત પડતી રહે, તો તે પથ્થર પણ ત્યાંથી કપાઈ જાય છે. બરાબર આ જ પ્રકારે જો કોઈ માણસ સતત મહેનત કરે, તો તેને સફળતા ચોક્કસ મળે છે. આવું જ કંઈક ઉદાહરણ અંકુશ સચદેવાએ રજૂ કર્યું. તેઓ આઈઆઈટી-કાનપુર (IIT-Kanpur) ના વિદ્યાર્થી રહ્યા પરંતુ તેમની વાર્તા કોઈ સામાન્ય આઈઆઈટીઅનની વાર્તા નથી. કમ્પ્યુટર સાયન્સની ડિગ્રી લઈને પણ અંકુશ કોઈ મોટી કોર્પોરેટ કંપનીમાં ન ગયા. તેના બદલે તેઓ સતત ૧૭ નિષ્ફળતાઓના ચક્રમાં ફસાઈ ગયા. વર્ષો સુધી તેમણે જે પણ આઈડિયા પર દિલથી કામ કર્યું તે બધા નિષ્ફળ ગયા. આમાં ઈ-કોમર્સથી લઈને યુટિલિટી સર્વિસ સુધીના આઈડિયા સામેલ હતા. તેઓ નિષ્ફળતાઓથી હારી રહ્યા નહોતા, પરંતુ એક એવી મોટી સમસ્યાની નજીક પહોંચી રહ્યા હતા જેને ટેક દુનિયાએ નજરઅંદાજ કરી દીધી હતી.
વર્ષ ૨૦૧૫માં તેમણે પોતાના આઈઆઈટી કાનપુરના મિત્રો ફરીદ અહસાન અને ભાનુ સિંહ સાથે મળીને કામ શરૂ કર્યું. તેમણે જોયું કે નાના શહેરો અને ગામડાઓમાં ઈન્ટરનેટનો વપરાશ વધી રહ્યો છે, પરંતુ ત્યાં તેમની સ્થાનિક ભાષામાં કોઈ એપ નહોતી. મેઈનસ્ટ્રીમ પ્લેટફોર્મ્સ તેમને આકર્ષક લાગતા નહોતા. એટલું જ નહીં, તેમનું કન્ટેન્ટ પણ લોકો સાથે જોડાઈ શકતું નહોતું. આ જ તેમની ‘યુરેકા મોમેન્ટ’ હતી.
શેરચેટ (ShareChat) એ મચાવી ધમાલ
તેમણે શેરચેટ એપ બનાવી. તેની શરૂઆત હિન્દીથી થઈ અને પછી તે ૧૫ ભારતીય ભાષાઓ જેવી કે મલયાલમ, ગુજરાતી, બંગાળી, પંજાબી અને અન્ય ઘણી ભાષાઓમાં ફેલાઈ ગઈ. આ માત્ર એક અંગ્રેજી એપનો અનુવાદ નહોતો, પરંતુ તે એક નવી એપ હતી જેમાં જોક્સ, સ્થાનિક સમાચાર અને બિન-મેટ્રો ભારતની રોજિંદી જિંદગી સાથે જોડાયેલી વસ્તુઓ સામેલ હતી.
હજારો કરોડોમાં પહોંચ્યું વેલ્યુએશન
તેનું પરિણામ શાનદાર રહ્યું. શેરચેટ માત્ર વધ્યું જ નહીં, પરંતુ આગની જેમ ફેલાઈ ગયું. તેણે પંજાબના એક ખેડૂતને આસામના એક કવિ સાથે જોડ્યા. તેણે મધ્યપ્રદેશની એક ગૃહિણીને વાયરલ રેસીપી ચેનલ આપી. તે લાખો લોકો માટે ‘ડિજિટલ ચોરો’ (ડિજિટલ નુક્કડ) બની ગયું, જેઓ અત્યાર સુધી ગ્લોબલ ઈન્ટરનેટ માટે અદ્રશ્ય હતા. વર્ષ ૨૦૨૧ સુધીમાં તેના ૧૬૦ મિલિયનથી વધુ એક્ટિવ યુઝર્સ હતા. આ જંગી સંખ્યા બાદ વર્ષ ૨૦૨૨ સુધીમાં તેનું વેલ્યુએશન વધીને ૪૦,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું.
આજે મોટું નામ
આજે સ્ટાર્ટઅપની દુનિયામાં અંકુશ સચદેવાનું નામ ખૂબ જ સન્માન સાથે લેવામાં આવે છે. પરંતુ તેમની વાર્તાનો સૌથી પ્રેરણાદાયી ભાગ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનો આંકડો નથી. તે ૧૭ વખતની નિષ્ફળતાઓ છે જે આ મુકામ સુધી પહોંચતા પહેલા આવી હતી. તે એ શાંત હિંમત છે જેણે દરેક ‘ના’ ને ‘અત્યારે નહીં’ સમજી. તે એ શીખ છે કે રાતોરાત સફળતા મેળવવાની ઈચ્છા રાખતી દુનિયામાં, અસલી અસર ઘણીવાર એક-એક ઈંટ જોડીને, એક-એક નિષ્ફળતામાંથી શીખીને જ બને છે. તેમની વાર્તા આપણને શીખવે છે કે નિષ્ફળતાઓ અંત નથી હોતી, પરંતુ નવી શરૂઆતનો રસ્તો બતાવે છે.

