Lashkar-e-Taiba Amir Hamza Attack 2026: કોણ છે આમિર હમઝા, લશ્કર આતંકી જેને પાકિસ્તાનમાં ટીવી સ્ટેશનની બહાર મારી ગોળી, વર્ષભરમાં બીજો હુમલો

Arati Parmar
3 Min Read

Lashkar-e-Taiba Amir Hamza Attack 2026: પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ના કો-ફાઉન્ડર આમિર હમઝાને લાહોરમાં અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળી મારી દીધી છે. પોલીસે જણાવ્યું કે ગુરુવારે લાહોરમાં એક ટીવી સ્ટેશનની બહાર મોટર સાયકલ પર સવાર કેટલાક અજ્ઞાત બંદૂકધારીઓએ હુમલો કર્યો, જેમાં તેને ગોળી વાગી છે. 67 વર્ષીય હમઝાની ગંભીર હાલતમાં એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એક વર્ષની અંદર લશ્કર આતંકીને જાનથી મારી નાખવાનો આ બીજો પ્રયાસ છે.

વર્ષભરની અંદર બીજો હુમલો

આ પહેલા મે 2025 માં આમિર હમઝાને મારવાની કોશિશ કરવામાં આવી હતી, જેમાં તે બચી ગયો હતો. આ હુમલા વિશે માનવામાં આવે છે કે તે લશ્કરના અંદરના ઝગડાનું પરિણામ હતું. સમાચાર એજન્સી પીટીઆઈએ પાકિસ્તાનની પંજાબ પોલીસને ટાંકીને જણાવ્યું કે બંદૂકધારીઓએ ગુરુવારે હમઝાને ગાડીની અંદર નિશાન બનાવ્યો હતો.

- Advertisement -

ગાડીની અંદર હમઝાની સાથે જસ્ટિસ નઝીર અહેમદ ગાઝી (રિટાયર્ડ) પણ હાજર હતા. આ હુમલામાં ગાઝી આબાદ બચી ગયા. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે જે ગાડી પર હુમલો કરવામાં આવ્યો, તે પાકિસ્તાનની ખાનગી ટીવી ન્યૂઝ ચેનલ 24NewsHD ની હતી. આ ચેનલના માલિક પાકિસ્તાનના ગૃહ મંત્રી મોહસિન નકવી છે. રિટાયર્ડ જસ્ટિસ ગાઝી આ ચેનલ પર એક ધાર્મિક કાર્યક્રમને હોસ્ટ કરે છે.

કોણ છે આમિર હમઝા?

હમઝાનો ભારત પર થયેલા હુમલાઓ સાથે સંબંધ રહ્યો છે. આમાં 2005 માં બેંગલુરુના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ પર થયેલો હુમલો પણ સામેલ છે. આ હુમલામાં એક પ્રોફેસરનું મોત થયું હતું, જ્યારે ચાર ઘાયલ થયા હતા. હમઝાનો જન્મ 10 મે 1969 ના રોજ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગુજરાંવાલામાં થયો હતો. આતંકવાદની દુનિયામાં હમઝાની એન્ટ્રી સોવિયત-અફઘાન યુદ્ધ દરમિયાન ઝકી-ઉર-રહેમાન લખવી દ્વારા થઈ. લખવી તે સમયે પાકિસ્તાનમાં લડવૈયાઓની ભરતી કરી રહ્યો હતો.

- Advertisement -

લશ્કર-એ-તૈયબાની સ્થાપના

લખવીએ જ હમઝા અને હાફિઝ સઈદની મુલાકાત કરાવી હતી. આ ત્રણેયે બાદમાં ત્રણ અન્ય લોકો સાથે મળીને 1985-86 ની આસપાસ લશ્કર-એ-તૈયબાની સ્થાપના કરી. આ સંગઠન અને તેના પ્રોક્સીએ ભારત વિરુદ્ધ અનેક આતંકવાદી હુમલા કર્યા છે, જેમાં એપ્રિલ 2025 માં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલો હુમલો પણ સામેલ છે. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું.

કોણે કર્યો આમિર હમઝા પર હુમલો?

ક્યારેક LeT ના થિંકર ગણાતા હમઝા વિશે કહેવાય છે કે 2018 થી તેના હાફિઝ સઈદ સાથે મતભેદ ચાલી રહ્યા છે. હમઝા પર હુમલા વિશે અત્યાર સુધી અજ્ઞાત બંદૂકધારીઓની વાત સામે આવી છે. આ છેલ્લા બે-ત્રણ વર્ષમાં પાકિસ્તાનમાં આતંકવાદીઓ પર હુમલાની પેટર્નનો ભાગ રહ્યો છે. બે-ત્રણ વર્ષમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનોના મોટા કમાન્ડર પાકિસ્તાન કે પીઓકેમાં માર્યા ગયા છે.

- Advertisement -

પાકિસ્તાનમાં અજ્ઞાત બંદૂકધારી

સ્થાનિક રિપોર્ટમાં આ હત્યાઓ માટે અવારનવાર અજ્ઞાત બંદૂકધારીઓ કે રહસ્યમય સંજોગોને જવાબદાર ગણાવવામાં આવ્યા છે. ગયા મહિને જ જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરના મોટા ભાઈ મોહમ્મદ તાહિર અનવરનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. ગયા વર્ષે માર્ચમાં લશ્કરના મોટા આતંકી અબૂ કતારને અજ્ઞાત બંદૂકધારીઓએ મારી નાખ્યો હતો. તે હાફિઝ સઈદનો ખૂબ જ નજીકનો હતો.

Share This Article