Retail investors shift to mutual funds: રિટેલ રોકાણકારો સીધા શેરબજારમાંથી દૂર, મ્યુચ્યુઅલ ફંડ્સ તરફ વળ્યા

Arati Parmar
2 Min Read

Retail investors shift to mutual funds: ઇક્વિટી બજારમાં વધતી જતી ઉથલપાથલ વચ્ચે, રિટેલ રોકાણકારોએ શેરોમાં તેમના સીધા રોકાણમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. જોકે, પરંપરાગત બચત સાધનોથી મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ઇક્વિટી તરફ તેમનું સ્થળાંતર ચાલુ છે. ૨૦૨૫માં અત્યાર સુધી રિટેલ  રોકાણકારો તરફથી ચોખ્ખો પ્રવાહ રૂ.૧૩,૨૭૩ કરોડ રહ્યો છે, જે જાન્યુઆરી અને સપ્ટેમ્બર ૨૦૨૪ વચ્ચે રૂ.૧.૧ લાખ કરોડની સરખામણીમાં લગભગ ૯૦% ઘટાડો દર્શાવે છે.

રિટેલ રોકાણકારોનું સીધા રોકાણથી દૂર રહેવું સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો, ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ્સના મજબૂત પ્રવાહથી તદ્દન વિપરીત છે. મ્યુચ્યુઅલ ફંડ્સ ઉપરાંત, અન્ય પ્રકારના સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોમાં વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સિપ), વીમા પ્રિમીયમ અને નિવૃત્તિ બચત યોજનાઓ દ્વારા છૂટક રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કરે છે.

નિષ્ણાતો કહે છે કે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વધુને વધુ પડકારજનક બની રહ્યું છે, તેથી રિટેલ રોકાણકારો તેમના વધારાના ભંડોળનું રોકાણ કરવા માટે ઔપચારિક રોકાણ વિકલ્પો તરફ વધુને વધુ વળ્યા છે.

બજારના અભ્યાસી વર્તુળોએ જણાવ્યું હતું કે,  સમય જતાં એચએનઆઈ અને રિટેલ રોકાણકારો દ્વારા મેળવેલ અનુભવ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા રોકાણ કરવા માટે વધતી પસંદગી તરફ દોરી રહ્યો છે. બેન્ચમાર્ક નિફ્ટીએ છેલ્લા એક વર્ષમાં શૂન્યની નજીક વળતર આપ્યું છે. બજાર નિષ્ણાતો કહે છે કે ઘણા રિટેલ રોકાણકારોને વધુ નુકસાન થયું છે કારણ કે તેઓ ગયા વર્ષના પ્રથમ નવ મહિનામાં બજારની તેજી દરમિયાન ટ્રેન્ડમાં રહેલા થીમેટિક શેરો પર દાવ લગાવતા હતા.

રિટેલ રોકાણકારો નવમાંથી પાંચ મહિનામાં ચોખ્ખા વેચાણકર્તા હતા. માર્ચમાં, તેઓએ રૂ.૧૪,૩૨૫ કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, જે ૨૦૧૬ પછીનો તેમનો સૌથી મોટો માસિક આઉટફ્લો છે. વેચવાલીનો ધમધમાટ જૂન સુધી ચાલુ રહ્યો, જોકે તેની તીવ્રતા થોડી ઓછી હતી. એપ્રિલ અને જૂન વચ્ચે ચોખ્ખુ વેચાણ કુલ રૂ.૦,૫૫૫ કરોડ હતું. જુલાઈ અને ઓગસ્ટમાં રિટેલ રોકાણકારો ચોખ્ખા ખરીદદારો હતા, પરંતુ સપ્ટેમ્બરમાં અત્યાર સુધી, તેઓ ફરી એકવાર ચોખ્ખા વેચનાર બન્યા છે.

કેટલાક નિષ્ણાતો માને છે કે સપ્ટેમ્બર ૨૦૨૪થી અત્યાર સુધીનો ચોખ્ખો રિટેલ પ્રવાહ સૂચવે છે કે રિટેલ રોકાણકારો વધુ સમજદાર બની રહ્યા છે. તેઓ પરંપરાગત ખરીદો અને પકડી રાખો વ્યૂહરચના છોડી રહ્યા છે અને ટૂંકા ગાળાના દાવ લગાવવાનું શરૂ કરી રહ્યા છે.

Share This Article