Ahmedabad Plane Crash: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગુરૂવારે એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. હવે એર ઈન્ડિયાના વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા છ મૃતકોના પીડિત પરિવારોને તેમના પરિજનોના અવશેષોનો ‘બીજો સેટ’ સોંપવામાં આવ્યો છે. મેઘાણીનગરમાં અકસ્માતની જગ્યાએ ચાલી રહેલી સફાઈ અને બચાવ કાર્ય દરમિયાન 16 અન્ય અવશેષ મળ્યા હતા, જેની ડીએનએ તપાસ બાદ ઓળખ કરવામાં આવી હતી. આ પરિવારને હવે પ્રિયજનોના ફરી અંતિમ સંસ્કાર કરવા પડી શકે છે.
ડીએનેએ તપાસથી થઈ જાણ
અધિકારીઓએ જણાવ્યું કે, મૃતકોના પરિજનોને એક સંમતિ પત્ર આપવામાં આવ્યું હતું. આ પત્રમાં કાટમાળની આગળની સફાઈ અને તબીબી વિશ્લેષણ દરમિયાન મળી આવેલા અવશેષોના અંતિમ સંસ્કાર માટે પરવાનગી માંગતો સંમતિ પત્ર આપવામાં આવ્યો હતો. ગુજરાતના વિવિધ ભાગો આણંદ, નડિયાદ અને અમદાવાદના છ પરિવારોને હોસ્પિટલે વિનંતી કરી હતી કે, ડીએનએ મેચ થતા તેમને જાણકારી આપવામાં આવશે. એક વ્યક્તિનું એકથી વધુ વખત અંતિમ સંસ્કાર થવા દુર્લભ છે, પરંતુ ડીએનએ મેચિંગ અને અવશેષ સોંપવાનું પ્રમાણપત્ર હોવાથી આ પ્રક્રિયામાં કોઈ અવરોધ નહીં આવે.’
બાકી અવશેષોનું શું થશે?
બચેલા 10 પીડિતોમાંથી નવ પરિવારોએ હોસ્પિટલને તેમના અવશેષોના અંતિમ સંસ્કાર માટેની મંજૂરી આપી આવી હતી, જોકે એક પરિવારનો જવાબ હજુ નથી મળ્યો. અધિકારીઓએ જણાવ્યું કે, નવા મળેલા અવશેષ પહેલા સોંપવામાં આવ્યા તેની તુલનામાં ખૂબ નાના છે. અમુકના શરીરના નાના ભાગ છે, તો અમુકમાં એકાદ બે હાડકાં છે. અકસ્માતની તીવ્રતાના કારણે પીડિતોના શરીરના ટુકડા-ટુકડા થઈ ગયા, જેનાથી અવશેષોનું આ રૂપ સામે આવ્યું હતું.