Fist Barrierless Toll Plaza Starts: ગુજરાતના સુરતમાં દેશનો પ્રથમ બહુપ્રતિક્ષિત બેરિયરલેસ ટોલ પ્લાઝા શરૂ થઈ ગયો છે. છેલ્લા ઘણા સમયથી આ ટોલ પ્લાઝાનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું હતું. આ ટોલ પ્લાઝા પર વાહનોને રોકાવાની કોઈ જરૂર રહેશે નહીં. ટોલ પ્લાઝાની નીચેથી પસાર થતા જ ફી એટલે કે શુલ્ક કપાઈ જશે. સુરતના ચોર્યાસીમાં આ ટોલ પ્લાઝા મુંબઈ દિલ્હી હાઈવે (NH48) પર છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનો પ્રયાસ છે કે દેશમાં આવનારા સમયમાં આ જ પ્રકારના ટોલ પ્લાઝા સ્થાપિત કરવામાં આવે, જેથી વાહનોએ રોકાવું ન પડે. આ ટોલ પ્લાઝા સુરત અને ભરૂચની વચ્ચે આવેલું છે.
NHAI ની શું છે તૈયારી?
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ 2 ફેબ્રુઆરીથી આ નવી સુવિધાનું ટેસ્ટિંગ શરૂ કર્યું હતું. આશરે બે મહિનાના ટેસ્ટિંગ અને ટ્રાયલ બાદ NHAI એ આ ટોલ પ્લાઝા સુરતના કામરેજમાં શરૂ કર્યું છે. ચોર્યાસી ટોલ પ્લાઝા પર હવે જામ ખતમ થવાની આશા છે. માર્ગ અને રાજમાર્ગ મંત્રાલયે 2026 ના અંત સુધીમાં ભારતમાં 1050 થી વધુ ટોલ પ્લાઝાને AI બેઝ્ડ મલ્ટી લેન ફ્રી ફ્લો સિસ્ટમથી બદલવાની યોજના બનાવી છે. બેરિયર-ફ્રી ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ થવાથી ગાડી ચલાવનારાઓને ટોલ ચાર્જ આપવા માટે રોકાવું કે લાંબી કતારોમાં રાહ જોવી પડશે નહીં.
કેવી રીતે કપાશે ટોલ?
NHAI ના એક અધિકારીએ જણાવ્યું કે ટોલ ચાર્જ ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાના મેળે કપાઈ જશે. હાઈ-રિઝોલ્યુશન કેમેરા ગાડીઓની નંબર પ્લેટ સ્કેન કરશે. FASTag સાથે જોડાયેલ રકમ સીધી ડેબિટ થઈ જશે, જેનાથી આ પ્રોસેસ પૂરી રીતે કોન્ટેક્ટલેસ અને કોઈ પણ માણસની દખલગીરી વગરની હશે. NHAI નું અનુમાન છે કે બેરિયર-ફ્રીથી 1,500 કરોડ રૂપિયાનું બળતણ બચશે. એટલું જ નહીં 6,000 કરોડ રૂપિયાની વધારાની આવક પ્રાપ્ત થશે. વાહનોને રોકાવાની જરૂર રહેશે નહીં. વાહનો 80 કિમી/કલાકની ઝડપે પસાર થઈ શકશે.

