Political Defection Ethics Gujarat: નેતાઓના વચનો અને સત્તા માટે પક્ષપલટાની રાજનીતિ

Arati Parmar
3 Min Read

Political Defection Ethics Gujarat: ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નેતાઓ દ્વારા આપવામાં આવેલા વચનો અને ત્યારબાદ તેમના પક્ષપલટાએ પ્રજામાં ભારે ચર્ચા જગાવી છે. હાર્દિક પટેલે અનામત આંદોલન સમયે કહ્યું હતું કે ભાજપમાં જોડાશે તો તેની માનું ધાવણ લાજશે, જ્યારે અલ્પેશ ઠાકોરે સૂરજ-ચંદ્રની સાક્ષીએ ભાજપમાં ન જોડાવાના શપથ લીધા હતા. તેવી જ રીતે રાજુ કરપડાએ સૂરજ આથમણે ઉગશે ત્યારે જ ભાજપનો ખેસ પહેરવાની વાત કરી હતી. આજે આ તમામ નેતાઓ ભાજપના ખોળે બેઠા છે, જે દર્શાવે છે કે સત્તા મેળવવા માટે નેતાઓ પોતાના જ બોલેલા શબ્દો અને સિદ્ધાંતોને કેટલી સરળતાથી ત્યજી દે છે.

પ્રજાને મૂર્ખ બનાવતી શેખીખોર નિવેદનબાજી

વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાઈ શકે છે, પરંતુ જનતાને મૂર્ખ કે અભણ સમજીને જે આત્યંતિક નિવેદનો કરવામાં આવે છે તે લોકશાહી માટે ઘાતક છે. જે નેતાઓ પોતાની જનેતાના સોગંદ કે કુદરતી તત્ત્વોની સાક્ષીઓ ખોટી પાડી શકતા હોય, તેઓ સામાન્ય પ્રજાના વિકાસ કે હિત માટે કેટલા વફાદાર રહેશે તે એક મોટો પ્રશ્ન છે. રાજકારણમાં હવે આબરૂ કે બોલેલા શબ્દોનું મૂલ્ય ઘટતું જાય છે અને માત્ર પોતાનો ‘રોટલો શેકવા’ માટે પ્રજાના ખભાનો ઉપયોગ કરવામાં આવે છે.

- Advertisement -

આંદોલનના નામે વ્યક્તિગત વિકાસની રમત

સમાજ, ખેડૂતો કે જ્ઞાતિના નામે આંદોલન શરૂ કરનારા નેતાઓ રાતોરાત માલામાલ બની જાય છે અને સત્તાના ઉચ્ચ સ્થાને પહોંચી જાય છે. જોકે, જે આમ નાગરિક કે કાર્યકરોએ આંદોલનમાં પોતાનું બલિદાન આપ્યું હોય અથવા લોહી-પરસેવો એક કર્યો હોય, તેઓ આજે પણ ત્યાંના ત્યાં જ ઊભા છે. આ પ્રકારના નેતાઓ પ્રજાના રોષનો ભોગ બનવા છતાં ‘બદનામ હુએ તો ક્યાં હુઆ નામ તો હુઆ’ જેવી માનસિકતા ધરાવે છે. પ્રજા હવે સમજી ગઈ છે કે આંદોલનો ઘણીવાર જનહિત માટે નહીં પણ વ્યક્તિગત રાજકીય કારકિર્દી બનાવવા માટેના ટૂંકા રસ્તા હોય છે.

સોશિયલ મીડિયાના યુગમાં જાગૃત બનતી જનતા

અગાઉ જ્યારે મીડિયા મર્યાદિત હતું ત્યારે નેતાઓ ગમે તે કહીને છૂટી જતા હતા, પરંતુ હવે સોશિયલ મીડિયાના કારણે પ્રજા પોતે જ સક્રિય બની છે. નેતાઓના જૂના વીડિયો અને નિવેદનો સોશિયલ પ્લેટફોર્મ પર વાયરલ કરીને લોકો તેમને તેમની ‘ઓકાત’ બતાવી રહ્યા છે. જ્યારે મુખ્યધારાનું મીડિયા સત્તાના પ્રભાવ હેઠળ હોય ત્યારે સામાન્ય નાગરિકોએ ડિજિટલ માધ્યમોનો સહારો લઈને પક્ષપલ્ટુ નેતાઓને ઉઘાડા પાડવાનું શરૂ કર્યું છે. પ્રજાની આ જાગૃતિ જ લોકશાહીમાં નેતાઓને જવાબદાર બનાવવા માટે એકમાત્ર આશાનું કિરણ છે.

- Advertisement -
Share This Article