Rajkot Heatwave: સૌરાષ્ટ્રમાં હીટવેવનો હાહાકાર, હિટસ્ટ્રોકે લીધો બે યુવાનોનો ભોગ

Arati Parmar
3 Min Read
Rajkot Heatwave

Rajkot Heatwave: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. આકાશમાંથી જાણે આગ વરસતી હોય તેવો અહેસાસ નાગરિકો કરી રહ્યા છે. તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને વટાવી જતાં હીટવેવની ગંભીર અસર જનજીવન પર પડી રહી છે. કમનસીબે, છેલ્લા ૪૮ કલાકમાં રાજકોટમાં હિટસ્ટ્રોક એટલે કે લૂ લાગવાના કારણે બે લોકોના કરૂણ મોત નિપજ્યા છે. ગરમીની આ ભયાનકતાને કારણે લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેના લીધે શહેરના માર્ગો પર જાણે સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે.

હિટસ્ટ્રોકે છીનવ્યું બે વ્યક્તિઓનું જીવન

રાજકોટના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં એક શ્રમિક યુવાન શૈલેષ બારીયા કારખાને જતી વખતે અચાનક બાઈક પરથી બેભાન થઈને ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. તેવી જ રીતે શહેરના બેડી નાકા પાસે રહેતા કલ્પેશ વ્યાસનું પણ અસહ્ય ગરમીના કારણે મોત થયું છે. તબીબોના જણાવ્યા મુજબ, શરીરના તાપમાનમાં અચાનક થયેલો વધારો અને પાણીની અછત હિટસ્ટ્રોક માટે મુખ્ય જવાબદાર છે. શ્રમિકો અને બહાર કામ કરતા લોકો માટે અત્યારે આ ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે.

- Advertisement -

ગરમ પવનો અને રાત્રિનો ઉકળાટ

માત્ર દિવસ જ નહીં, પરંતુ હવે રાત્રિના સમયે પણ ગરમીથી રાહત મળતી નથી. પશ્ચિમના પવનો ફૂંકાવાને કારણે બપોરે ૨૨ કિલોમીટરની ઝડપે ગરમ લૂ ફૂંકાય છે, જે ચામડી દઝાડે તેવી હોય છે. મોડી રાત સુધી વાતાવરણમાં ઉકળાટ જળવાઈ રહેતા લોકોની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. હવામાન વિભાગના ડેટા મુજબ, લઘુત્તમ તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રીનો વધારો થયો છે, જેને કારણે રાત્રિના સમયે પણ પંખા કે એસી કામ કરતા બંધ થયા હોય તેવો અનુભવ થાય છે. આ સિઝનનો સૌથી ગરમ ગાળો અત્યારે પસાર થઈ રહ્યો છે.

- Advertisement -

હવામાન વિભાગની આગામી આગાહી

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મે મહિના દરમિયાન હીટવેવના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં લોકોને આગામી દિવસોમાં હજુ વધુ આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગના મહાનિદેશક મૃત્યુંજય મોહપાત્રાએ ચેતવણી આપી છે કે લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ઊંચું રહેશે. તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર તડકામાં ન નીકળવા, વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા અને હળવા સુતરાઉ કપડાં પહેરવા જેવી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

- Advertisement -

આ પણ વાંચો: Gujarat New Liquor Policy: હવે દારૂબંધીવાળા ગુજરાતમાં પણ છલકાવી શકાશે જામ, સરકાર લાવવા જઈ રહી છે નવો નિયમ – Newz Cafe

Share This Article