Rath Yatra 2025: આજે અષાઠી બીજ એટલે 27 જૂન, 2025ના રોજ ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ત્યારે અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે. ‘જય રણછોડ, માખણચોર’ના જયધોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી રહ્યા છે. ચોમેર હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદના પોલીસતંત્રએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટેની જરૂરી તમામ બાબતોનું જીણવટપૂર્વકનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અમદાવાદમાં જગન્નાથ ભગવાને આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યા છે, ત્યારે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
ખાડિયા નજીક ડી.જે.ના કારણે ગજરાજ બેકાબૂ
ભગવાન જગન્નાથની રથયાત્રાનું રંગેચંગે આગમન થયું છે. જોકે, આ દરમિયાન વચ્ચે એક વિઘ્ન આવ્યું છે. રથયાત્રામાં સામેલ હાથીમાંથી ત્રણ હાથી બેકાબૂ બન્યા હતા. અચાનક જ આ હાથી રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળમાં ઘૂસી ગયા હતા. હાથીને ભાગતા આવતા જોઈ લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જેમાં ત્રણ જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.. મળતી માહિતી મુજબ ડી.જેના કારણે ખાડિયા વિસ્તારમાં હાથી બેકાબૂ બન્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસની સમયસૂચકતાના કારણે કોઈ અફરાતફરી નહતી મચી અને ગણતરીની મિનિટોમાં મહાવતે હાથી પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસની કામગીરીના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે, દર વર્ષ અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે. ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે. લાખો સંતો-ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નીજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે. હાથી, ટેબ્લો, અખાડા, વેશભૂષા અને ભજન મંડળીઓ રથયાત્રામાં જોડાઈને ખાસ આકર્ષણ જમાવશે. આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસનો પર્વ બની રહે છે. રથયાત્રામાં દેશભરમાંથી અઢી હજારથી વધુ સાધુ-સંતો રથયાત્રામાં જોડાશે. રથયાત્રા પહેલા જળયાત્રા, નેત્રોત્સવ વિધિ યોજાઈ ચૂકી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના લાઈવ દર્શન તમે https://www.jagannathjiahd.org/ પર જોઈ શકો છો.
ગજરાજ બેકાબૂ થતા ડી.જે અને મ્યુઝિક બંધ કરાયા
રથયાત્રામાં ગજરાજ બેકાબૂ થયાની ઘટના બન્યા બાદ મ્યુઝિક અને ડી.જે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે મ્યુઝિક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. પોલીસ હાલ તમામ ટ્રકને અને અન્ય ડી.જેની ગાડીઓને મ્યુઝિક બંધ કરવા અનુરોધ કરી રહી છે.
સરસપુરમાં મામેરા વિધિ
ભગવાન જગન્નાથ મામાના ઘરે સરસપુર જઈ રહ્યા છે. એવામાં જમાલપુર જગન્નાથના મંદિરથી લઈને સરસપુર સુધી બધું જ જય જગન્નાથના નાદથી ગૂંજી ઉઠ્યું છે. હાલ, સરસપુર ખાતે મામેરા વિધિનું પણ સમાપન થઈ ચુક્યું છે. ધાર્મિક રીતે મંત્રોચ્ચાર સાથે મામેરા વિધિ કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથ સરસપુર પહોંચે ત્યારબાદ તેમને આ મામેરૂ ધરાવવામાં આવશે.
રથયાત્રામાં બાળક કે સ્વજન વિખૂટુ પડી ગયું? તો તુરંત આ ડેસ્ક પાસે પહોંચી જાવ
રથયાત્રા ઉત્સવ દરમિયાન બાળકોની સલામતી સુનિશ્ચિત કરવાના પ્રયાસરૂપે, ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID), રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને મહિલા ક્રાઇમ બ્રાન્ચે સરસપુર વિસ્તારમાં સંયુક્ત રીતે સમર્પિત હેલ્પ ડેસ્ક મૂક્યા છે. આ પહેલ જાહેર સલામતી અને બાળ સુરક્ષા વ્યૂહરચનાના ભાગ રૂપે કરવામાં આવી છે. આ ડેસ્ક પર મુખ્યત્ત્વે ગુમ થયેલા બાળકોના અહેવાલોનો ઝડપી જવાબ આપવા અને પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવા ધ્યાન કેન્દ્રિત કરશે.
જમાલપુર દરવાજામાં ફસાઇ ટ્રક
અમદાવાદમાં જગન્નાથની રથયાત્રા શરૂ છે. એવામાં ભગવાન જગન્નાથના રથની સાથે હાથી અને ટ્રક વિશેષ આકર્ષણ જમાવે છે. એવામાં એક ટ્રક જમાલપુર દરવાજામાં ફસાઇ ગઈ હતી. જેના કારણે દરવાજામાં લગેવાલે કેટલાક વાયરો ખસેડવા પડ્યા અને ટ્રકમાં બેઠેલા લોકો નીચે નમ્યા ત્યારબાદ ભારે જહેમત બાદ ટ્રક પસાર થઈ શકી.
રથયાત્રામાં હિન્દુ-મુસ્લિમ એકતા
રથયાત્રાના દિવસે હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી મળી હતી. જ્યાં મુસ્લિમ સમુદાયના લોકો ફૂલ અને હાર સાથે ભગવાન જગન્નાથનું સ્વાગત કરતા જોવા મળ્યા. આ હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક લોકોની આંખે વળગીને આવ્યું હતું.
વિવિધ ટ્રક બન્યા આકર્ષણનું કેન્દ્ર
રથયાત્રામાં 100થી વધુ ટ્રકે પણ ભાગ લીધો છે. આ ટ્રકે રથયાત્રામાં વિશેષ આકર્ષણ ઊભું કર્યું છે. ક્યાંક રાફેલ તો ક્યાંક ઓપરેશન સિંદૂરની થીમ પર ટ્રક જોવા મળી રહ્યું છે. વળી, અમદાવાદ પ્લેનક્રેશની દુર્ઘટનાને લઈને પણ ટ્રક સજાવવામાં આવ્યું હતું. માનવમહેરામણ આ ટ્રક અને અખાડાઓનો આનંદ લઈ રહ્યા છે. આ સિવાય ભજન મંડળીઓ પણ કાન્હાના ભજન ગાતા-ગાતા આગળ વધી રહ્યા છે. આખાય અમદાવાદમાં જાણે ભક્તિમય માહોલ બની ગયો છે.
ભજન મંડળી અને ટ્રક સાથે રથયાત્રા નગરચર્યાએ નીકળી
ભજન મંડળી, હાથી ટ્રક અને અખાડા સાથે રથયાત્રાનું પ્રસ્થાન, જય જગન્નાથ અને જય રણછોડના નાદ સાથે માનવ મહેરામણ ઉમટ્યું. કૃષ્ણ ભક્તિમાં લીન થયું અમદાવાદ.
દિલીપદાસજી મહારાજને જગતગુરુની પદવી મળી
જમાલપુર જગન્નાથ મંદિરના મહંત 1008 મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજને અષાઢી બીજ પાવન પર્વના દિવસે તમામ સાધુ-સંતો દ્વારા વૈષ્ણવ સંપ્રદાયના જગદગુરૂની પદવી આપવામાં આવી છે. હવેથી તેઓ મહામંડલેશ્વરની બદલે જગતગુરૂ દિલીપદાસજી મહારાજ તરીકે ઓળખાશે.