Gopal Italia Journey: ગોપાલ ઈટાલિયાની વિસાવદર જીત: કોન્સ્ટેબલથી ધારાસભ્ય સુધીનો અદ્દભુત સફર

Arati Parmar
By Arati Parmar 7 Min Read

Gopal Italia Journey: વિસાવદર પેટા ચૂંટણી 2025માં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ગોપાલ ઇટાલિયાએ ભવ્ય જીત હાંસલ કરી છે. ગોપાલ ઈટાલિયાએ આ પેટા ચૂંટણીમાં 17554 મતની લીડ સાથે ભવ્યા જીત મેળવી છે. જોકે, ભાજપના કિરીટ પટેલની કારમી હાર થઈ છે. આ જીતે ગુજરાતના રાજકીય પટ પર ભાજપના 18 જૂના સપનાને મોટો ઝટકો આપ્યો છે. ગોપાલ ઇટાલિયા, જેમણે પોતાની રાજકીય કુશળતા અને સામાજિક કાર્યો દ્વારા ગુજરાતમાં AAPનો પાયો મજબૂત કર્યો, આજે રાજ્યના રાજકારણમાં એક મહત્વનું નામ બની ગયા છે. પરંતુ, આ યુવા નેતા કોણ છે? ચાલો, જાણીએ ગોપાલ ઇટાલિયાના જીવન અને કારકિર્દી વિશે.

ગોપાલ ઇટાલિયા: રાજકારણી અને સામાજિક કાર્યકર

- Advertisement -

ગોપાલ ઇટાલિયા એક રાજકારણી, સામાજિક કાર્યકર અને આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી છે. તેઓ ગુજરાતમાં ભાજપ સરકાર સામે આક્રમક વલણ અને લોકોના મુદ્દાઓ ઉઠાવવા માટે જાણીતા છે. સોશિયલ મીડિયા પર તેમની સક્રિયતા અને જનજાગૃતિ અભિયાનો તેમને યુવાનોમાં લોકપ્રિય બનાવે છે. તેમનું નામ સૌપ્રથમ 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન પ્રકાશમાં આવ્યું, જેમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ આંદોલન માટે તેમણે બે વખત સરકારી નોકરીનો ત્યાગ કર્યો હતો. આ ઉપરાંત, તેઓ ‘બેફામ’ નામની ફિલ્મમાં પણ નાની ભૂમિકા ભજવી ચૂક્યા છે.

અંગત જીવન અને શિક્ષણ

- Advertisement -

ગોપાલ ઇટાલિયાનો જન્મ 21 જુલાઈ 1989ના રોજ બોટાદ ખાતે થયો હતો. તેમનું મૂળ ગામ ભાવનગર જિલ્લાનું ટીંબી છે. તેમણે અમદાવાદથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન અને LLBનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 2012માં તેમણે પોલીસ કોન્સ્ટેબલ તરીકે કારકિર્દી શરૂ કરી, પરંતુ લોકોના પ્રશ્નો માટે લડવાની ઈચ્છાથી તેમણે પોલીસની નોકરી છોડી મહેસુલ વિભાગમાં ક્લાર્ક તરીકે જોડાયા હતા. જોકે, સામાજિક અને રાજકીય પરિવર્તનની ઝંખનાએ તેમને બંને સરકારી નોકરીઓ છોડી રાજકારણમાં પ્રવેશવા પ્રેર્યા હતા.

ગોપાલ ઇટાલિયા સુધારાવાદી વિચારસરણી ધરાવે છે. બાળપણમાં તેઓ સ્વાધ્યાય પરિવારની શાખાઓમાં જોડાયેલા હતા, જ્યારે યુવાનીમાં સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા હતા. તેઓ વિપશ્યના સાધના કરે છે અને અંધશ્રદ્ધા, ઢોંગ અને પાખંડનો વિરોધ કરે છે. તેઓ સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, ડોંગરેજી મહારાજ, અખાભગત અને દાસી જીવણના વિચારોને અનુસરે છે.

- Advertisement -

વિવાદોથી ઘેરાયેલા ગોપાલ ઈટાલિયા

ગોપાલ ઇટાલિયા વિવાદોથી પણ અલગ નથી. એક જૂના વીડિયોમાં તેમણે હિંદુ ધર્મની કેટલીક પરંપરાઓ અને ધાર્મિક વિધિઓને ‘નકામી’ અને ‘બિન-વૈજ્ઞાનિક’ ગણાવી હતી, જેમાં તેમણે હિંદુઓને ‘કિન્નર’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતાં તેમની સામે વિરોધ થયો અને તેઓ વિવાદમાં આવ્યા હતા.

રાજકીય કારકિર્દી

ગોપાલ ઇટાલિયાની રાજકીય સફર 2015ના પાટીદાર અનામત આંદોલનથી શરૂ થઈ, જ્યાં તેઓ હાર્દિક પટેલના નજીકના સાથી હતા. આ આંદોલન દરમિયાન તેમણે ગામડે-ગામડે ફરી લોકોને બંધારણ અને કાયદાઓ વિશે જાગૃત કર્યા હતા. 2017માં તેમણે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકીને હોબાળો મચાવ્યો હતો. 2019માં ખેતરમાં પ્લાસ્ટિકની બંદૂક ચલાવવાના આરોપ હેઠળ તેમની ધરપકડ થઈ હતી.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની શરૂઆત

ગુજરાતના રાજકીય પટલ પર આમ આદમી પાર્ટી (AAP)ની શરૂઆત આશાઓથી ભરેલી હતી, પરંતું 2017ની વિધાનસભા ચૂંટણીમાં 29 બેઠકો પર ચૂંટણી લડવા છતાં પાર્ટીને કોઈ સફળતા મળી ન હતી. મજબૂત નેતૃત્વની ઉણપને કારણે પાર્ટી ગુજરાતમાં પોતાનું આગવું સ્થાન બનાવી શકી ન હતી.

ગોપાલ ઇટાલિયાનો ઉદય

જુલાઈ 2020માં, કોરોનાકાળ દરમિયાન યોજાયેલી એક ઑનલાઈન બેઠકમાં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પાર્ટીએ તેમને તરત જ પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી હતી. ગોપાલે ‘યુવા જોડો અભિયાન’ શરૂ કરી ગુજરાતનાં ગામડાંઓમાં ફરીને પાર્ટીના સંગઠનનો પાયો મજબૂત કર્યો હતો. ડિસેમ્બર 2020માં તેમને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

સુરતમાં પ્રભાવ અને યુવાનોની નારાજગી

હાલ ગોપાલ ઇટાલિયા સુરતમાં રહે છે અને રાજકીય-સામાજિક કાર્યોમાં સક્રિય છે. સુરતના વરાછા-કતારગામ વિસ્તારના યુવાનોમાં તેમનો નોંધપાત્ર પ્રભાવ છે, જ્યાં તેમને એક્ટિવિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. જોકે, AAPમાં જોડાયા પછી તેમની ધાર્મિક સ્થળોની મુલાકાતો અને વર્તનને લઈને કેટલાક યુવાનો નારાજ છે, જેઓ તેમના અગાઉના નિવેદનો સાથે આની વિરોધાભાસી ગણાવે છે.

સ્થાનિક ચૂંટણીઓમાં પ્રથમ સફળતા

2021માં ગોપાલ ઇટાલિયાના નેતૃત્વમાં AAPએ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાગ લીધો હતો. સુરત મહાનગરપાલિકામાં પાર્ટીએ 120માંથી 27 બેઠકો જીતી, કોંગ્રેસ પાસેથી વિપક્ષનું પદ છીનવી લીધું હતું. આ સફળતા ગુજરાતમાં AAPની પ્રથમ મોટી ઉપલબ્ધિ હતી. અનેક બેઠકો પર પાર્ટી બીજા સ્થાને રહી, જેનાથી તેની વધતી લોકપ્રિયતા સ્પષ્ટ થઈ હતી.

સંગઠન નિર્માણ અને વિરોધ પ્રદર્શનો

સુરતની સફળતા બાદ ગોપાલ ઇટાલિયાએ રાજ્યભરમાં પાર્ટીનું સંગઠન મજબૂત કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે ભાજપ અને કોંગ્રેસની નીતિઓ સામે સતત વિરોધ નોંધાવ્યો અને ભાજપ સરકારની ખામીઓ સામે આંદોલનો કર્યા હતા.

2022ની ચૂંટણીઓ અને નવા ચહેરાઓ

2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં AAPમાં લોકપ્રિય પત્રકાર ઇસુદાન ગઢવી જોડાયા, જેમને પાર્ટીએ મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કર્યા હતા. ગોપાલ અને ઇસુદાનના નેતૃત્વમાં આંદોલનકારી પ્રવીણ રામ, ખેડૂત નેતાઓ સાગર રબારી, રાજુ કરપડા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જેવા નેતાઓ જોડાયા, જેનાથી પાર્ટીને નવી તાકાત મળી હતી.

2022ની વિધાનસભા ચૂંટણીમાં AAPને પાંચ બેઠકો મળી અને 13 ટકા વોટશેર સાથે 35 બેઠકો પર બીજા સ્થાને રહી હતી. આ પરિણામોના કારણે પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો હતો. ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડ્યા, જ્યાં તેઓ ભાજપના ઉમેદવાર સામે 64,627 મતોથી હાર્યા, પરંતુ 55,000થી વધુ મતો મેળવી બીજા સ્થાને રહ્યા હતા.

ચૂંટણી પછીનો તબક્કો

2022ની ચૂંટણી બાદ ઇસુદાન ગઢવીને પ્રદેશ પ્રમુખ અને ગોપાલ ઇટાલિયાને નેશનલ જોઇન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. આ નિર્ણય બાદ ગોપાલને પાર્ટીમાં સાઇડલાઇન કરવામાં આવ્યા હોવાની અટકળો ચાલી, પરંતું તેમણે પોતાની સક્રિયતા યથાવત્ રાખી હતી. ગુજરાતમાં AAPની સક્રિયતા અંગે પણ સવાલો ઉઠ્યા, જાણકારોનું માનવું હતું કે, પાર્ટી પહેલાં જેટલી સક્રિય દેખાતી નથી.

ગીરનું આંદોલન અને પેટાચૂંટણી

ગીરના પ્રસ્તાવિત ઇકો-સેન્સિટિવ ઝોનના વિરોધમાં ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ અને રાજુ કરપડાએ મોરચો સંભાળ્યો હતો. ગોપાલે આ મુદ્દે આકરો વિરોધ કર્યો અને પ્રસ્તાવ પાછો ન ખેંચાય તો તાલાળાથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. અંતે, વીસાવદર બેઠકની પેટાચૂંટણીમાં પાર્ટીએ તેમને ઉમેદવાર બનાવ્યા હતા.

ગોપાલ ઇટાલિયા ગુજરાતના રાજકારણમાં એક ઉભરતું નામ છે, જેમણે પોતાની નિડરતા, સામાજિક સંઘર્ષો અને રાજકીય વ્યૂહરચના દ્વારા AAPને નવી ઓળખ આપી. વિસાવદર પેટા ચૂંટણીમાં તેમની જીત એ ગુજરાતમાં રાજકીય પરિવર્તનનો સંદેશ આપે છે. જોકે, વિવાદો અને યુવાનોની નારાજગી તેમની સફરમાં પડકારો ઉભા કરે છે. ભવિષ્યમાં તેઓ ગુજરાતના રાજકારણને કેવી ન દિશા આપે છે, તે જોવું રસપ્રદ રહેશે.

Share This Article