‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક
સુરતમાં 10 થી 13 ઓગસ્ટ દરમિયાન ચાલનારા ‘હર ઘર તિરંગા’ અભિયાનને ભવ્ય બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 11મી ઓગસ્ટે સાંજે શહેરના વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી બે કિલોમીટર લાંબી ત્રિરંગા યાત્રા કાઢવાનો નિર્ણય લેવાયો હતો. આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાગ લેશે. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાય તે માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જરૂરી સૂચનાઓ આપી હતી.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર શરૂ કરાયેલા આ અભિયાનનો ઉદ્દેશ્ય લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો છે. સુરતમાં આ અભિયાનને સફળ બનાવવા માટે સરકારે લોકોને તેમના ઘર, દુકાનો અને સંસ્થાઓ પર તિરંગો ફરકાવવાની અપીલ કરી છે.
શહેર અને જિલ્લામાં વિવિધ કાર્યક્રમો
સુરત શહેર અને જિલ્લામાં આ અભિયાનને લઈને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં તિરંગા યાત્રા, શાળાઓમાં વિશેષ કાર્યક્રમો અને મહાનગરપાલિકા દ્વારા આયોજિત રેલીઓનો સમાવેશ થાય છે. સરકારનો ઉદ્દેશ્ય દરેક ઘરમાં ત્રિરંગો લહેરાવીને દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપવાનો છે.
બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવો
આ બેઠકમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા, સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ, સંગીતાબેન પાટીલ, પ્રવીણ ઘોઘારી, અરવિંદ રાણા, કાંતિ બલર, જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારધી, પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કમિશનર અનુપમ સિંહ ગેહલોત, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શાલિની અગ્રવાલ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

