Thakor Samaj Social Constitution: બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા નવા સામાજિક બંધારણ અને તેનાથી સમાજમાં આવેલા પરિવર્તનને લઈને ખૂબ જ ખુશી અને સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે સમાજે એક થઈને જે કુરીવાજો અને બિનજરૂરી ખર્ચાઓ પર મનાઈ ફરમાવી છે, તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી આર્થિક રાહત મળી છે. ખાસ કરીને દીકરીના લગ્ન પ્રસંગે કરવામાં આવતા ખોટા ભભકાઓ પર લગામ લાગતા હવે મધ્યમ વર્ગના પરિવારોને દેવું કરવા કે પોતાની જમીન વેચવાની મજબૂરી ઉભી થતી નથી. આ સામાજિક સુધારો સમાજના ભવિષ્ય માટે અત્યંત આશાસ્પદ અને કલ્યાણકારી સાબિત થઈ રહ્યો છે.
લગ્ન પ્રસંગોમાં આર્થિક અને સામાજિક સુધારાની અસર
બનાસકાંઠામાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપતી વખતે ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, અગાઉના સમયમાં લગ્ન પ્રસંગો ઉકેલવા માટે પરિવારોએ ખેતરનું કટકુ અડાણે (ગિરવી) મૂકવું પડતું હતું અથવા તો વ્યાજે પૈસા લઈને મોટું આર્થિક જોખમ ખેડવું પડતું હતું. પરંતુ સામાજિક બંધારણના અમલ બાદ આ પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. લગ્નમાં ડીજેના ઘોંઘાટ અને દારૂના દૂષણ પર પ્રતિબંધ મુકાતા પ્રસંગો હવે વધુ ગરિમાપૂર્ણ રીતે ઉજવાઈ રહ્યા છે. ગેનીબેને આ બદલાવ માટે સમગ્ર સમાજના લોકોને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે આ સુધારો અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ છે.
દારૂના દૂષણ અને બિનજરૂરી મહેમાનો પર અંકુશ
સાંસદે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ ડીજે વગાડવામાં આવતું ત્યારે આમંત્રણ વિનાના અજાણ્યા લોકો પણ ટોળામાં ઘૂસી જતા હતા, જેના કારણે ઘણી વખત અઘટિત ઘટનાઓ બનતી અને ઝઘડાઓ થતા હતા. આ પ્રકારના લોકો જમણવારમાં પણ અવ્યવસ્થા ફેલાવતા હતા. ડીજે બંધ થતા અને લગનિયાઓની સંખ્યા મર્યાદિત થતા હવે ઘરધણીને કોઈ અણધાર્યો બોજ પડતો નથી. સૌથી મોટી વાત એ છે કે પ્રસંગોમાં દારૂડિયાઓનો ત્રાસ અને ગંદી ગંધ દૂર થઈ છે. ગેનીબેને સદારામ બાપુને પ્રાર્થના કરી હતી કે ભગવાન દારૂડિયાઓને સદ્દબુદ્ધિ આપે અને આ બદી સમાજમાંથી હંમેશ માટે નાબૂદ થાય.
સમાજની પ્રતિષ્ઠા અને સંગઠન શક્તિનો વિજય
ગેનીબેન ઠાકોરે કહ્યું કે સામાજિક બંધારણનો અમલ નહોતો થયો ત્યારે ઘણી પીડિત વ્યક્તિઓ પોતાની સામાજિક અને આર્થિક મુશ્કેલીઓ લઈને તેમના ઘરે આવતી હતી. ડીજે અને દારૂના કારણે થતી બદીઓથી પરિવારની આબરૂ જોખમાતી હતી, પરંતુ હવે તેમાં મોટો ફાયદો થયો છે. તેમણે ઉમેર્યું કે બીજા સમાજોએ આ દિશામાં મોડેથી વિચાર કર્યો છે, પરંતુ ઠાકોર સમાજે પહેલા આ સાહસિક નિર્ણય લીધો જે ખૂબ જ અઘરું કામ હતું. સદારામ બાપુના આશીર્વાદથી આજે ઠાકોર સમાજ એકતા અને સાદગીના માર્ગે ચાલીને આર્થિક પાયમાલીમાંથી બચી રહ્યો છે.

