અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે રાજકોટ શહેરના ગેમ ઝોન અગ્નિકાંડને માનવ સર્જિત દુર્ઘટના(Man-made disaster)ગણાવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 32 લોકોના મોત થયા છે. હાઇકોર્ટે આ અંગે સુઓમોટો અરજી દાખલ કરી છે. તેમજ રાજ્ય સરકાર અને સત્તાધિકારીઓને નોટિસ પાઠવી છે. તેમજ આ મુદ્દે સોમવારે સુનાવણી થવાની છે. જેમાં કોર્ટ રાજ્યના ગેમ ઝોન અંગે નિર્દેશ આપી શકે તેમ છે.

ગેમિંગ ઝોને GDCR માં છટકબારીઓનો લાભ લીધો
રાજકોટ ગેમિંગ ઝોનમાં આગની ઘટના એ “માનવસર્જિત આપત્તિ” હોવાનું નોંધીને રવિવારે ગુજરાત હાઈકોર્ટની સ્પેશિયલ બેંચે સુઓ મોટો અરજી દાખલ કરી છે. રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનોને નોટિસ પાઠવી હતી અને આ ગેમિંગની જોગવાઈઓ વિશે માહિતી માંગી હતી. તેમણે કહ્યું હતું કે, “અખબારના અહેવાલો દર્શાવે છે કે રાજકોટમાં ગેમિંગ ઝોને GDCR માં છટકબારીઓનો લાભ લીધો હોવાનું જણાય છે.
એક માનવસર્જિત દુર્ઘટના
બેન્ચે અહેવાલોને ટાંકીને એમ પણ કહ્યું હતું કે ફાયર સેફ્ટી, બાંધકામ માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) જેવી પરવાનગી મેળવવાને બદલે માલિકો આ મનોરંજન પ્રવૃત્તિઓ ચલાવવા માટે કામચલાઉ માળખાનો ઉપયોગ કરે છે.ન્યાયાધીશ બીરેન વૈષ્ણવની આગેવાની હેઠળની વિશેષ બેન્ચે અખબારોના અહેવાલોને ટાંકીને નોંધ્યું હતું કે, “પ્રથમ દૃષ્ટિએ, એક માનવસર્જિત દુર્ઘટના છે જેમાં નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક પરિવારો તેમના મૃત્યુથી શોક અનુભવી રહ્યા છે.”

