અમદાવાદ, તા. 21 : રાજ્યમાં નાના બાળકોને નિશાન બનવી રહેલા ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 70થી વધુ શંકાસ્પદ કેસની સામે 27 જેટલા બાળકોનાં મોત નીપજ્યાં છે, ત્યારે રાજ્યમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની અછત હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આશરે 344 ડોક્ટરની સામે ફક્ત 30 તબીબ જ છે. સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની 2022માં 1376 જેટલી જરૂર હતી, તેની સામે ફક્ત 411 જગ્યા મંજૂર કરાઇ હતી, તેમાંથી 127 જગ્યા ભરાયેલી 127 જગ્યાની બાદબાકી કરીએ, તો 1,249 જગ્યાની ઘટ હતી.

આમ ટકાવારી દૃષ્ટિએ 90.77 તબીબ નથી, જ્યારે રેડિયોલોજિસ્ટની 79 ટકા જેટલી ઘટ છે. આ રોગ શહેર કરતા ગામડામાં પ્રસર્યો હોવાનું મુખ્ય કારણ એ છે કે, માટીના ઘરો કે ગંદકીવાળા વિસ્તારોમાં રહેતા નવજાત બાળકોથી લઇને 14 વર્ષ સુધીના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. જેથી સહેલાઇથી આ રોગનો શિકાર બની રહ્યા છે. બીજી તરફ ગામડાઓમાં તબીબી સારવારના પ્રશ્નો પણ ઘણા છે. સરકાર દ્વારા મેડિકલ વિદ્યાર્થી પાસે શરૂઆતના અમુક વર્ષો સુધી ગ્રામ્ય વિસ્તારોમાં નોકરી કરવાની શરત પણ મુકાતી હોય છે. નોંધનીય છે કે, ગામડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય છે, પરંતુ સરકારની શરતનું પાલન નહીં થતું હોવાના કારણે આ કેન્દ્રમાં ડોક્ટરોની સંખ્યા ઘણી જ ઓછી હોય છે.
ગુજરાતમાં બાળકોની સારવાર કરતા પીડિયાટ્રિશિયન્સની સંખ્યા અંગે નરી વાસ્તવિકતા સામે આવી છે. ભારત સરકારના ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં સ્થિતિનું નિરુપણ કરતા અહેવાલ પ્રમાણે 31 માર્ચ-2022ની સ્થિતિએ ગુજરાતમાં 344 પીડિયાટ્રિશિયન (બાળકોના ડોક્ટર)ની જરૂર હતી, તેની સામે 76 જગ્યા મંજૂર કરવામાં આવી હતી, તેમાંથી 30 જ જગ્યા ભરાઇ છે અને હજુ 46 જગ્યા ખાલી છે. જરૂરિયાત અનુસાર 344 પીડિયાટ્રિશિયન હોવા જોઇએ. એટલે કે, જરૂરિયાતની સામે હાજર ડોક્ટરની સંખ્યા બાદ કરીએ તો 314 ડોક્ટર નથી. એટલે કે, 314 ડોક્ટરોની ઘટ છે. આમ આવી સ્થિતિ જનરલ પ્રેક્ટિશનર અને સુપર સ્પેશિયાલિસ્ટ તેમજ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની તેમજ સ્ટાફની તંગી હોવાનો ઘટસ્ફોટ પણ અહેવાલમાં થવા પામ્યો છે.

