RJD સમર્થકોનો તીવ્ર વિરોધ
તેજ પ્રતાપ યાદવ મહનારના ચૂંટણી મેદાનમાંથી બહાર નીકળ્યા કે તરત જ આ ઘટના બની હતી. અહેવાલો મુજબ, સભા પૂરી કરીને બહાર આવતાની સાથે જ RJD સમર્થકોએ તેમને ઘેરી લીધા અને ‘તેજસ્વી યાદવ ઝિંદાબાદ’ તથા ‘લાલટેન છાપ ઝિંદાબાદ’ના નારા લગાવ્યા. વિરોધ અને નારાબાજી એટલા તીવ્ર બની ગયા કે RJD સમર્થકોએ તેમના કાફલાને ત્યાંથી ખદેડી દીધો.
JJD ઉમેદવારે RJD ઉમેદવાર પર ષડયંત્રનો આરોપ લગાવ્યો
તેજ પ્રતાપ યાદવની પાર્ટી JJDના ઉમેદવાર જય સિંહ રાઠૌરે આ ઘટના માટે સીધેસીધું RJDના સત્તાવાર ઉમેદવાર રવિન્દ્ર સિંહ પર ષડયંત્ર રચવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે જય સિંહ રાઠૌરે સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘આ બધી હરકતો RJD ઉમેદવારે જ કરાવી છે. તેજ પ્રતાપ યાદવના ચૂંટણી પ્રચારને અટકાવવાના હેતુથી બે-ચાર લફંગાઓને પૈસા આપીને આ પ્રકારનું કૃત્ય કરાવવામાં આવી રહ્યું છે. તેમ છતાં, અમે લોકો તેનાથી સહેજ પણ પાછા હટવાના નથી.’
લાલુ પરિવારનો આંતરિક વિવાદ જાહેર
આ ઘટનાએ લાલુ પ્રસાદ યાદવના પરિવારના આંતરિક વિવાદને ફરી એકવાર જાહેરમાં લાવી દીધો છે. તેજ પ્રતાપ યાદવ સતત RJD વિરુદ્ધ પોતાના ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યા છે, જે તેમના નાના ભાઈ અને મહાગઠબંધનના CM ઉમેદવાર તેજસ્વી યાદવના ચૂંટણી અભિયાનને પડકાર આપી રહ્યો છે. હવે, રાજકીય ગલિયારાઓમાં એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે મહનારની આ ઘટના તેજ પ્રતાપ અને તેજસ્વી વચ્ચેના તણાવને વધુ જટિલ બનાવશે કે કેમ. હાલમાં, આ ઘટનાના કારણે મહનારમાં રાજકીય તણાવ વધી ગયો છે.

