ગુજરાતના શ્રદ્ધાળુની માંગને લઈ ધ્યાનમાં રાખીને સરકાર આગામી સમયમાં અન્ય શહેરોમાંથી મહાકુંભમાં જવા માટે અન્ય બસ શરૂ કરવા અંગે હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયો પર પોસ્ટ કરીને માહિતી આપી છે.
હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે, જે 144 વર્ષમાં માત્ર એકવાર આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એસી વોલ્વો બસનું સંચાલન કરવા અનોખી પહેલ કરી છે, જે ગુજરાતવાસીઓ માટે રાજ્ય સરકારની શ્રદ્ધા અને સમર્પણ દર્શાવે છે. જેની આજથી શરૂઆત થઇ ચૂકી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાકુંભ માટેની એસટી વોલ્વો બસને ગાંધીનગરના સર્કિટ હાઉસથી લીલીઝંડી બતાવી હતી.
સરકાર દ્વારા મહાકુંભમાં જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે અમદાવાદથી પ્રયાગરાજ માટે સ્પેશિયલ બસ શરૂ કરવાની જાહેરાત કરતાની સાથે જ આ બસ માટે ટિકિટ બુકિંગ શરૂ કરાયું તેના એક કલાકમાં જ 25 ફેબ્રુઆરી સુધીની તમામ ટિકિટ વેચાઇ ગઇ છે. માત્ર ગણતરીના સમયમાં 30 દિવસની તમામ ટિકિટનું ‘વેચાણ’ થઇ જતાં અનેક શ્રદ્ધાળુઓ નિરાશ થયા હતા. ત્યારે શ્રદ્ધાળુની માંગને લઈ સરકાર આગામી સમયમાં અન્ય શહેરોમાંથી મહાકુંભમાં જવા માટે અન્ય બસો શરૂ કરી શકે છે.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના દિશા નિર્દેશથી ગુજરાતના વધુને વધુ શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ જઈ શકે તે માટે વધારે બસો અલગ અલગ શહેરથી મૂકવા માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે. તે અંગે ઝડપથી નિર્ણય લેવાશે અને તેની જાણકારી સૌને આપવામાં આવશે.
હર્ષ સંઘવીએ આપી માહિતી
રાજ્ય સરકાર મહાકુંભ માટે વધુ બસ સેવા શરૂ કરવા અંગે ટૂંક જ સમયમાં નિર્ણય લઈ જાહેરાત કરી શકે છે. આ અંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જાણકારી આપી છે. હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશથી ગુજરાતના વધુને વધુ શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ જઈ શકે તે માટે વધારે બસો અલગ-અલગ શહેરથી મૂકવા માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે. તે અંગે ઝડપથી નિર્ણય લેવાશે અને તેની જાણકારી સૌને આપવામાં આવશે.
આજથી મહાકુંભ માટેની એસટી વોલ્વો બસની શરૂઆત કરાઈ
નોંધનીય છે કે, આ બસ દરરોજ સવારે 7 વાગે અમદાવાદના રાણીપ એસ.ટી. ડેપોથી પ્રયાગરાજ જવા નીકળશે. માત્ર રૂ. 8100માં પ્રતિ વ્યક્તિ 3 રાત્રિ/4 દિવસનું પેકેજ ગુજરાતના શ્રધ્ધાળુઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવ્યુ છે.
આ પેકેજમાં તમામ 3 રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે. આ બસ માટે ટિકિટ બુકિંગનો 25મીએ રાતના 12 કલાકે પ્રારંભ થયો હતો.
જો કે, ટિકિટ બુકિંગ શરૂ કરાયાના એકાદ કલાકમાં જ 25 ફેબ્રુઆરી સુધીની તમામ 1380 ટિકિટનું વેચાણ થઇ ગયું હતું. સવાર પડતાં જ ટિકિટ બુક કરાવનારાએ જ્યારે બુકિંગ માટે પ્રયાસ કરતાં 25 ફેબ્રુઆરી સુધી બુક બતાવતા તેઓ નિરાશ થયા હતા. ત્યારે શ્રદ્ધાળુઓની માંગને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લઈને આગામી સમયમાં વધુ બસ સેવા શરૂ કરવા અંગે જાહેરાત કરવામાં આવશે.

