શ્રીનગર, તા. 28 : કાશ્મીરની વિધાનસભા ચૂંટણી વખતે જ હિંસક હુમલા કરીને અશાંતિ પેદા કરવાના આતંકવાદીઓના નાપાક મનસૂબા કદી પણ સફળ નહીં થાય તેવું વધુ એકવાર સાબિત કરતાં ભારતીય સુરક્ષા દળોના જાંબાઝ જવાનોએ કુલગામમાં બે આતંકવાદીને ઠાર કર્યા હતા.
કુલગામ જિલ્લાના દેવસર ક્ષેત્રના આદિગામમાં ભીષણ ઘર્ષણ દરમ્યાન એક અધિકારી સહિત પાંચ જવાન ઘાયલ થયા હતા. અધિક પોલીસ વડા મુમતાઝ અલી સહિત પાંચ ઘાયલ જવાનને શ્રીનગરની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એવું મનાય છે કે, આ કટ્ટર વિદેશી ભાડાના આતંકવાદી હતા, જેમણે છેલ્લા ચારેક મહિનામાં જમ્મુના ડોડા, કઠુઆ, રાજૌરી, પૂંચ અને રિયાસી જિલ્લાના સેના, સ્થાનિક પોલીસ, નાગરિકો પર હુમલા કર્યા હતા.

હિંસક હુમલા કર્યા બાદ આતંકવાદીઓ પહાડી જિલ્લાના ગાઢ જંગલોમાં ભાગી જાય છે. ખીણમાં વિધાનસભા ચૂંટણીના બે તબક્કા પૂરા થઈ ગયા છે અને હવે પહેલી ઓકટોબરના અંતિમ ચરણનું મતદાન થશે ત્યારે આતંકવાદ સામે સૈન્ય, સુરક્ષા દળો, પોલીસ સતત એલર્ટ છે.

