નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસી સુપ્રીમ મમતા બેનર્જીને લઈને કોંગ્રેસમાં અંદરખાને આગ લાગી છે. હાલમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ મમતાના મુદ્દા પર બંગાળના કોંગ્રેસ પ્રમુખ અધીર રંજન ચૌધરી ને આડે હાથ લઈ લીધા હતા. તેમ છતાં મમતાના વિરોધી ગણાતા અધીર રંજન ચૌધરી હજુ દાદ આપે તેવા મૂડમાં નથી.
શનિવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મુંબઇમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ સમયે કોઈ કોઈ પત્રકારે તેમને મમતા બેનર્જીનો પ્રશ્ન પૂછી લીધો હતો. ત્યારે ખડગેએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે “મમતાજી ઇન્ડિયા ગઠબંધનનો જ ભાગ છે.”

તો પત્રકારોએ પૂછ્યું હતું કે બંગાળના કોંગ્રેસ પ્રમુખ અધીર રંજન ચૌધરીએ આપેલું નિવેદન અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વના નિવેદન વચ્ચે વિરોધાભાસ જોવા મળે છે. તો તેનો પ્રત્યુતર આપતા ખડગેએ જણાવ્યું હતું કે, “તે કોઈ નિર્ણય લેનાર નથી. નિર્ણય લેનાર અમે છીએ, કોંગ્રેસ નિર્ણય લેશે, તેના માટે હાઇકમાન્ડ છે. અમે જે નિર્ણય લેશું તે જ યોગ્ય હશે. અમે જે નિર્ણય લેશુ તેનું પાલન કરવું પડશે અને જો કોઈ પાલન નહીં કરે તો તેમણે બહાર જવું પડશે.”
ખડગેના નિવેદન બાદ અધીર રંજન ચૌધરી પણ આકરા ટેવર બતાવી રહ્યા છે, તેમણે ખડગેના નિવેદન બાદ પ્રત્યુતર આપતા કહ્યું હતું કે, “બંગાળમાં કોંગ્રેસને બરબાદ કરનાર કોઈપણ વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ નહીં રાખી શકે. અધીર રંજન ચૌધરીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “હું પાર્ટીમાં એક સિપાહીના રૂપે આ લડાઈને રોકી નહીં શકું. મારી લડાઈ વૈચારિક છે, આ કોઈ અંગત લડાઈ નથી. બંગાળમાં અમે પાર્ટીને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.”

