Minelayer Ships Indian Navy: શું હોય છે માઈન લેયર્સ, કેવી રીતે બિછાવવામાં આવે છે માઈન્સ અને ભારતીય નૌકાદળ (Indian Navy) પાસે છે કેટલી ક્ષમતા?

Arati Parmar
3 Min Read

Minelayer Ships Indian Navy: અમેરિકાએ દાવો કર્યો છે કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં માઈન્સ બિછાવવાનું શરૂ કર્યું છે, સાથે જ એ પણ જણાવ્યું કે અમેરિકી સેનાએ ઈરાનના 10 માઈન લેયર (Minelayer) નષ્ટ કર્યા છે. માઈન લેયર શું છે, તે કેવી રીતે કામ કરે છે અને ભારતીય નૌકાદળની આ બાબતે કેટલી ક્ષમતા છે? આ તમામ સવાલોના જવાબ અમે નિષ્ણાતો સાથેની વાતચીતના આધારે અહીં રજૂ કર્યા છે.

શું હોય છે માઈન લેયર્સ?

માઈન લેયર્સ એટલે કે દરિયામાં માઈન્સ (દરિયાઈ સુરંગો) બિછાવનારા જહાજો. આ ખાસ પ્રકારના જહાજો હોય છે, કારણ કે જહાજમાં માઈન્સ રાખવા માટે સુરક્ષિત જગ્યા જોઈએ અને તેનો આકાર પણ અલગ હોય છે જેથી એક્ટિવ માઈન્સથી જહાજને જ નુકસાન ન પહોંચે. માઈન બિછાવનારા જહાજમાં એક ‘માઈન રેલ’ હોય છે. તેને એક પાટા જેવી વ્યવસ્થા સમજી લો, જેના પર માઈન્સ ગોઠવાયેલી હોય છે અને તે નક્કી કરેલા સ્થાન પર માઈન ડ્રોપ (પાણીમાં ફેંકે) કરે છે.

- Advertisement -

શું અન્ય જહાજોમાં માઈન લઈ જઈ શકાય?

સમુદ્રમાં માઈન્સ બિછાવવા માટે ખાસ જહાજો હોય છે, પરંતુ માઈન્સ બિછાવવા માટે સબમરીન અને એરક્રાફ્ટનો પણ ઉપયોગ કરી શકાય છે. સબમરીનની ટોર્પિડો ટ્યુબમાં માઈન્સ મૂકીને લઈ જઈ શકાય છે, પરંતુ તેની સંખ્યા મર્યાદિત હોય છે. તેવી જ રીતે, વિમાન દ્વારા પણ માઈન્સ ડ્રોપ કરી શકાય છે. જોકે, માઈન્સ બિછાવવા માટે જ બનાવાયેલા ખાસ જહાજોની ક્ષમતા ઘણી વધારે હોય છે.

માઈન્સના બે રીતે ઉપયોગ

દ્વિતીય વિશ્વ યુદ્ધ અને ઈરાન-ઈરાક યુદ્ધમાં દરિયાઈ માઈન્સનો પુષ્કળ ઉપયોગ થયો હતો, પરંતુ હવે દુનિયાભરની નેવી માઈન લેયર શિપ્સનો ઓછો ઉપયોગ કરે છે. માઈન્સ બિછાવવી એ એક સસ્તો રસ્તો છે, પરંતુ હવે મોટાભાગની નેવી દુશ્મન પર સરસાઈ મેળવવા માટે અન્ય અત્યાધુનિક રીતો અપનાવે છે. માઈન્સના મુખ્ય બે ઉપયોગ છે:

- Advertisement -
  1. ડિફેન્સિવ (બચાવ માટે): પોતાના બંદરોની સુરક્ષા માટે તેની આસપાસ માઈન્સ લગાવવી, જેથી દુશ્મનની સબમરીન નજીક આવવાનો પ્રયાસ કરે તો તેનાથી બચાવ થઈ શકે.

  2. ઓફેન્સિવ (હુમલા માટે): દુશ્મનના બંદરોની આસપાસ છુપાઈને માઈન્સ લગાવવી, જેથી દુશ્મનના જહાજો બંદરની બહાર નીકળે ત્યારે માઈન્સ તેને નષ્ટ કરી દે.

હેગ કન્વેન્શન મુજબ, જો કોઈ દેશ ઇન્ટરનેશનલ વોટરમાં કોઈ ખાસ કારણસર માઈન્સ બિછાવી રહ્યો હોય, તો તેને નોટિફાય (જાહેર) કરવું પડે છે, જેથી ત્યાંથી પસાર થતા સિવિલ જહાજોને તેની જાણકારી રહે અને તેઓ તેનો ભોગ ન બને.

ઇન્ડિયન નેવીની કેટલી ક્ષમતા?

ભારતીય નૌકાદળ પાસે જે પહેલા માઈન સ્વીપર્સ હતા, તેમાં માઈન્સ બિછાવવાની ક્ષમતા હતી. અત્યારે નેવી પાસે સમર્પિત ‘માઈન લેયર શિપ’ નથી, પરંતુ નેવી પાસે જે એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW-SWC) છે, તેમાં એવી ક્ષમતા છે કે તે જરૂર પડ્યે માઈન લઈ જઈ શકે છે અને બિછાવી શકે છે.

- Advertisement -

આ જહાજ દરિયાકાંઠાના અને છીછરા પાણીમાં દુશ્મનની સબમરીનને શોધવા અને નષ્ટ કરવા માટે બનાવવામાં આવ્યું છે. તેમાં અત્યાધુનિક હથિયારો, સેન્સર્સ અને સંચાર પ્રણાલીઓ છે જે તેને પાણીની નીચેના જોખમોનો સામનો કરવા સક્ષમ બનાવે છે. નેવી પાસે હાલમાં 4 ASW-SWC છે અને વધુ 12 જહાજો મળવાના છે.

Share This Article