અમરેલી/લાઠી, તા. 28 : અમરેલીના લાઠી તાલુકાનાં દુધાળા ગામમાં પીપીપી ધોરણે કરોડોના ખર્ચે નિર્મિત `ભારત માતા સરોવર’નું આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકોર્પણ કવામાં આવ્યું હતું. વડાપ્રધાને સરોવરનાં લોકાર્પણની સાથોસાથ અમરેલી જિલ્લાને રૂા. 4800 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ પણ આપી હતી તેમજ જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી અને જામનગર આ એવો ત્રિકોણ છે જે સમગ્ર ભારતમાં મેન્યુફેક્ચરિંગ હબ તરીકેની નામના સાથે `િમની જાપાન’ થવાની તાકાત ધરાવે છે. દુધાળા ગામે વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય મંત્રી સી. આર. પાટિલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિમોટની સ્વિચ દબાવી 70 એકરમાં નિર્મિત અને 24.50 કરોડ લિટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતા `ભારત માતાના સરોવર’નું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાને ગાંગડીઓ નદીને પુન:જીવિત તથા તળાવોનાં નિર્માણ કરીને સરકારના જનભાગીદારી અભિગમની સાથે રહીને જળસંચય માટે કાર્યો કરનારા ધોળકિયા ફાઉન્ડેશનની કામગીરીની પણ નોંધ લીધી હતી.
આ તકે વરસાદનાં પાણીનો સંગ્રહ કરવા અને નદી ઉપર નાનાં-નાનાં તળાવો બનાવીને પાણીનો સંગ્રહ કરીને `વન ડ્રોપ, મોર ક્રોપ’નો સંકલ્પ સાકાર કરવા પણ આહ્વાન કર્યું હતું. વડાપ્રધાને પોતાનાં સંબોધનમાં ગુજરાતના વિકાસમાં અને આગવી ઓળખમાં અમરેલી જિલ્લાના સામાજિક દાયિત્વ અને સેવાના સંદર્ભમાં યોગીજી મહારાજથી માંડીને ભોજા ભગત, દુલાભાયા કાગ, કવિ કલાપી કે.લાલ, રમેશ પારેખ સહિતના મહાનુભાવોને યાદ કરીને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને ગોવિંદભાઈ ધોળકિયા સહિત અમરેલી જિલ્લાના મહામૂલાં રત્નોની સામાજિક સેવાને પ્રેરણાદાયી ગણાવી હતી. મોદીએ જણાવ્યું હતું કે, એકતરફ સંસ્કૃતિનો ઉત્સવ અને બીજીબાજુ વિકાસનો ઉત્સવ. આ જ ભારતની એક નવી તાસીર છે.
આજે આખી દુનિયા ભારતની વાત ગંભીરતાથી સાંભળે છે. કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનના હસ્તે અમરેલી જિલ્લાને રૂા. 4800 કરોડનાં વિકાસકાર્યોની ભેટ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે પાણી-પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ પુરુષોત્તમ રૂપાલા, ભરતભાઈ સુતરિયા, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, રામભાઈ મોકરિયા, પૂનમબેન માડમ, કેસરીદેવસિંહ ઝાલા, વિનોદભાઈ ચાવડા, રાજેશબાઈ ચૂડાસમા, ઇફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ધારાસભ્યો, ભાજપ પ્રમુખો, મહાનુભાવો તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

