જયપુર, તા. 17 : રાજસ્થાનના ઉદયપુરમાં તંગદિલી બાદ જયપુરમાં પણ તણાવ સર્જાયો હતો. શાત્રીનગર વિસ્તારમાં ઇ-રિક્ષા ટોળાંએ સ્કૂટીચાલક દિનેશ સ્વામી નામક યુવકને માર માર્યા બાદ તેનું મોત થતાં નગરમાં સ્થિતિ નાજુક બની હતી. લોકો શાત્રીનગર પોલીસ મથકે ધરણા પર બેસી ગયા ત્યારે તેમના પર પથ્થરમારો થતાં સ્થિતિ ઓર વણસી હતી. પોલીસે થાણા બહાર બેઠેલા બે યુવકની ધરપકડ કરી હતી. દરમ્યાન, ઉદયપુરમાં 144મી કલમ લાગુ કરાઇ હતી અને ઇન્ટરનેટ પર રોક લગાવવામાં આવી હતી. આરોપી છાત્રનું મકાન તોડી પડાયું હતું, પરંતુ તે ભાડાનું હોવાના દાવાથી વિવાદ થયો છે.

અથડામણમાં દિનેશ સ્વામીના મૃત્યુ બાદ લોકો ધરણા કરી રહ્યા હતા, ત્યારે ધારાસભ્ય ગોપાલ શર્મા અને હવામહલના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્ય થાણા પર પહોંચીને લોકોને સમજાવી રહ્યા હતા તે સમયે લોકો પર સામેના મકાન પરથી પથ્થરમારો થયો હતો, જેના પ્રત્યુત્તરમાં દેખાવ કરી રહેલા લોકોએ પણ પથ્થરમારો કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળ બહાર બેઠેલા બે યુવકની ધરપકડ કરી હતી, જેના વિરોધમાં સિવિલ લાઇન્સ ધારાસભ્ય ગોપાલ શર્મા અને આઇપીએસ શશિ ડોગરા વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી. પોલીસે હળવા બળપ્રયોગ વડે લોકોને બહાર કાઢ્યા હતા. ઉદયપુરમાં બે વિદ્યાર્થીની અથડામણે સર્જેલી અશાંતિ વચ્ચે નગરમાં 144મી કલમ લાગુ કરાયા બાદ પણ માહોલ તંગદિલીભર્યો રહ્યો હતો. ઇન્ટરનેટ?પર રોક લગાવાઇ હોવાનું અહેવાલોમાં જણાવાયું હતું. બીજીતરફ, સાથી વિદ્યાર્થી પર ચાકુથી હુમલો કરવાનો આરોપી જે મકાનમાં રહેતો હતો તેને બુલડોઝરથી તોડી પડાયું હતું. જો કે, આરોપી ભાડે રહેતો હોવાના દાવાથી તંત્રની કામગીરી સવાલોમાં આવી હતી. લોકોએ આક્રોશભેર જણાવ્યું હતું કે, આરોપી પર કાર્યવાહી કરવાને બદલે નિર્દોષોનું ઘર તોડી પડાયું હતું.

