Gaza Food Line Attack: ગાઝામાં રાશન ટ્રકની રાહ જોઈ રહેલા લોકો પર ગોળીબારમાં 25 પેલેસ્ટિનિયનોના મોત થયા. પ્રત્યક્ષદર્શીઓ અને હોસ્પિટલોએ આરોપ લગાવ્યો છે કે આ ગોળીબાર ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે, ઇઝરાયલી સેનાએ હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. અર્બન નુસરીત શરણાર્થી કેમ્પમાં સ્થિત અવદા હોસ્પિટલે એક નિવેદન જારી કરીને કહ્યું કે વાદી ગાઝાના દક્ષિણમાં સલાહ-એ-દિન રોડ પર પેલેસ્ટિનિયન નાગરિકો રાશન ટ્રકની રાહ જોઈ રહ્યા હતા.
સાક્ષીઓએ જણાવ્યું કે લોકો પર કેવી રીતે ગોળીબાર કરવામાં આવ્યો
મીડિયા અહેવાલો અનુસાર, એક સાક્ષીએ જણાવ્યું કે જ્યારે લોકો ટ્રક તરફ આગળ વધવા લાગ્યા, ત્યારે ઇઝરાયલી સેનાએ લોકો પર ગોળીબાર કર્યો. એક વ્યક્તિએ કહ્યું કે તે એક હત્યાકાંડ હતો. ઇઝરાયલી સેના ટેન્ક અને ડ્રોનથી લોકો પર ગોળીબાર કરી રહી હતી. ઘણા લોકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે. બીજા એક સાક્ષીએ કહ્યું કે ડ્રોન લોકોના ટોળા ઉપર ઉડાન ભરી રહ્યા હતા અને તેમના પર નજર રાખી રહ્યા હતા. લોકો ટ્રક તરફ આગળ વધતા જ ટેન્ક અને ડ્રોનથી ગોળીઓ છોડવા લાગી. તે ખૂબ જ ભયાનક દ્રશ્ય હતું.
હુમલામાં ૧૪૬ લોકો ઘાયલ થયાનો દાવો
અવદા હોસ્પિટલે અહેવાલ આપ્યો છે કે ૧૪૬ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ૬૨ લોકોની હાલત ગંભીર છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને અન્ય હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. મધ્ય ગાઝાના દેઇર એ બલાહ સ્થિત અલ-અક્સા હોસ્પિટલમાં છ લોકોના મૃતદેહ પહોંચ્યા છે. ઇઝરાયલ હમાસ યુદ્ધમાં ગાઝામાં અત્યાર સુધીમાં ૫૬ હજાર લોકો મૃત્યુ પામ્યા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયનો દાવો છે કે મૃતકોમાં અડધાથી વધુ મહિલાઓ અને બાળકો છે. ૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ થયેલા હુમલા બાદ ઇઝરાયલે ગાઝામાં કાર્યવાહી શરૂ કરી હતી.