Indian Ship Attack Red Sea: યમન નજીક હૂતી હુમલામાં ભારતીય જહાજ ડૂબ્યું, 13 ભારતીયો સહિત તમામને બચાવવામાં આવ્યા
Indian Ship Attack Red Sea: લાલ સમુદ્રમાં એક ભારતીય જહાજ પર મંગળવારે યમનના હૂતી બળવાખોરોએ હુમલો કર્યો છે. આ હુમલામાં ભારતીય ધ્વજવાળું જહાજ ફૈઝ નૂરે ઔલિયા ડૂબી ગયું છે. જોકે, યમનની સરકારી સેનાએ જણાવ્યું છે કે તેણે જહાજ પર સવાર તમામ ક્રૂ સભ્યોને બચાવી લીધા છે. તેમાં 13 ભારતીય અને એક યમની નાગરિક સામેલ છે. આ જહાજ પર વિસ્ફોટકોથી ભરેલી નાવ (ડ્રોન બોટ) દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
યમનની સરકારી સેનાએ શું જણાવ્યું?
સરકાર સાથે જોડાયેલી નેશનલ રેઝિસ્ટન્સ ફોર્સેસ (NRF) એ એક નિવેદનમાં જણાવ્યું કે ‘ફૈઝ નૂરે ઔલિયા’ (FAIZE NOORE OLIYA) નામના જહાજ પર હુમલા બાદ કોસ્ટ ગાર્ડ અને નેવીની યુનિટોએ ક્રૂ સભ્યોને બચાવવા માટે સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતું. આ હુમલો હોડેઇદાહ બંદર શહેરથી દક્ષિણ તરફ અંદાજે 13 નોટિકલ માઈલના અંતરે થયો હતો, જ્યાં હૂતી બળવાખોરોનો કબજો છે. નિવેદનમાં હુમલો ક્યારે થયો હતો તેની માહિતી આપવામાં આવી નથી.
ભારતીય જહાજ પર હુમલા અંગે હૂતીઓએ મૌન સાધ્યું
નિવેદન મુજબ, જહાજ પર સવાર તમામ 14 લોકોને બચાવીને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. તેમને તબીબી સહાય આપવામાં આવી હતી અને કોઈપણ જાનહાનિ થયાની માહિતી નથી. એનઆરએફે આ હુમલા માટે યમનના હૂતી જૂથને જવાબદાર ઠેરવ્યું છે. જોકે, હૂતીઓએ હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. યમન વર્ષ 2014થી ગૃહયુદ્ધમાં સપડાયેલું છે. ત્યારથી રાજધાની સના સહિત યમનના ઉત્તર ભાગ પર હૂતી બળવાખોરોનો કબજો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત યમનની સરકારનો કબજો મર્યાદિત વિસ્તારો સુધી જ છે.

