MV Omorfi: યુક્રેનના ડ્રોન-મિસાઇલ હુમલાઓ વચ્ચે ભારતીય નાવિકોને બચાવવા ઇન્ડિયન સીમેન યુનિયનની અપીલ
MV Omorfi: યુક્રેનના ડ્રોન અને મિસાઇલ હુમલાઓના કારણે કાળા સમુદ્રમાં ફસાયેલા જહાજ MV Omorfi પર 13 ભારતીય નાવિકો હજુ પણ હાજર છે. આ નાવિકોને સુરક્ષિત રીતે બચાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે, આસપાસ મંડરાતા ડ્રોન અને મિસાઇલોના કારણે સંકટ હજુ પણ યથાવત છે. આવી સ્થિતિમાં ઇન્ડિયન સીમેન યુનિયને ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે બચાવવાની અપીલ કરી છે. યુનિયને જણાવ્યું છે કે તમામ નાવિકો દરેક સમયે સંભવિત હુમલાના ભય હેઠળ જીવી રહ્યા છે.
ઇન્ડિયન સીમેન યુનિયને શું કહ્યું?
ઇન્ડિયન સીમેન યુનિયને જણાવ્યું, “જહાજની આસપાસ વારંવાર ડ્રોન અને મિસાઇલ હુમલાના પ્રયાસો થઈ રહ્યા છે. ક્રૂના સભ્યો દરેક ક્ષણે સીધા હુમલાના ભયના સાયામાં જીવી રહ્યા છે.” આ યુનિયનની સ્થાપના નાવિકોના ઉત્પીડન, અન્યાયી બરતરફી અને તેમના અધિકારોના રક્ષણ માટે કરવામાં આવી હતી. આ યુનિયન પશ્ચિમ એશિયા અને ખાડી વિસ્તારોમાં ફસાયેલા અથવા અસરગ્રસ્ત ભારતીય નાવિકોની સુરક્ષા અને વતન વાપસી માટે સરકાર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમક્ષ સતત માંગણી કરી રહી છે.
MV Omorfi પર હુમલો
કાળા સમુદ્રમાં 18 જુલાઈ, 2026ના રોજ કમર્શિયલ કાર્ગો જહાજ MV Omorfi પર યુક્રેને મિસાઇલ અને ડ્રોન દ્વારા હુમલાઓ કર્યા હતા. આ હુમલામાં એક ભારતીય મર્ચન્ટ નેવી અધિકારીનું મૃત્યુ થયું હતું. આ ઘટના ત્યારે બની હતી જ્યારે માર્શલ આઇલેન્ડ્સના ધ્વજવાળું આ બલ્ક કેરિયર જહાજ રશિયાના સમુદ્રી સીમા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું. આ ઘટનાને લઈને ભારત સરકારે યુક્રેનના રાજદૂતને તલબ કરીને વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ, યુક્રેનનો દાવો હતો કે આ જહાજ રશિયા માટે હથિયારો લઈને જઈ રહ્યું હતું. જોકે, રશિયાએ આ દાવાનો ઇનકાર કર્યો છે.

