Shahbaz Sharif Reaction on Operation Sindoor : 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ મોડી રાતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર સચોટ હવાઈ હુમલા કર્યા. સેનાએ આ ઓપરેશનને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપ્યું છે. આ દરમિયાન ભારતના હવાઈ હુમલાને કારણે પાકિસ્તાનમાં ગભરાટ ફેલાયો છે. પાકિસ્તાનના લાહોર અને સિયાલકોટ એરપોર્ટ આગામી 48 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
શાહબાઝ શરીફની પોકળ ધમકી
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે શત્રુઓએ પાકિસ્તાનમાં પાંચ સ્થળોએ હુમલો કર્યો છે. ભારતના આ હુમલાનો પાકિસ્તાનને કડક જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે અને તેનો કડક જવાબ આપવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાનનું શું છે રિએક્શન
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, પાકિસ્તાને તેના નિવેદનમાં કહ્યું છે કે હવે અમે પોતાની પસંદગીના સમયે અને સ્થળે હવાઈ હુમલાનો જવાબ આપીશું. આ ઘૃણાસ્પદ ઉશ્કેરણીનો જવાબ તો આપીને જ રહીશું.
પાકિસ્તાન પર મિસાઈલ હુમલા કર્યા
પાકિસ્તાની સેનાએ રાત્રે એક નિવેદનમાં કહ્યું કે ભારતે પાકિસ્તાનના કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદ પર મિસાઇલોથી હુમલો કર્યો છે, જ્યારે ભારતીય સેનાએ સ્પષ્ટપણે કહ્યું કે અમારી કાર્યવાહી ફક્ત આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવી હતી. કોઈ પાકિસ્તાની લશ્કરી છાવણીને નિશાન બનાવવામાં આવી નથી.