NEET Paper Leak: સીબીઆઈએ નીટ પેપર લીક મામલામાં પુણેથી વધુ એક આરોપી મનીષા માંઢરેની ધરપકડ કરી છે. પેપર લીક મામલામાં અત્યાર સુધી કુલ નવ લોકોની ધરપકડ થઈ ચૂકી છે. મનીષા માંઢરે નીટ યુજી-૨૦૨૬ ની પરીક્ષા પ્રક્રિયા સાથે જોડાયેલા હતા. તેમની નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એક્સપર્ટ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે તેમને બોટની અને ઝૂલોજી પ્રશ્નપત્રો સુધી પૂરી એક્સેસ આપવામાં આવી હતી. તેઓ પુણેની એક પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કરી રહ્યા છે. જોકે, આ મામલા પર અત્યાર સુધી મનીષા માંઢરે કે તેમના વકીલો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જવાબ મળવા પર સમાચાર અપડેટ કરવામાં આવશે. આ પહેલા લાતુરના રહેવાસી પીવી કુલકર્ણીની પણ પુણેથી ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ કુલકર્ણીને પેપર લીક મામલાના ‘માસ્ટરમાઇન્ડ’ ગણાવ્યા છે. સીબીઆઈએ કહ્યું છે કે પીવી કુલકર્ણીની સઘન પૂછપરછ બાદ પુણેથી ધરપકડ કરવામાં આવી.
કોણ છે મનીષા માંઢરે?
૨૨ લાખ સ્ટુડન્ટ્સે નીટ યુજી-૨૦૨૬ ની પરીક્ષા આપી હતી. મનીષા માંઢરે પુણેની નામી કોલેજમાં પ્રોફેસર છે. તેઓ બોટનીના વરિષ્ઠ પ્રોફેસર તરીકે કાર્યરત છે. આ મામલામાં નામ સામે આવ્યા બાદ સીબીઆઈએ સઘન તપાસ કરી અને પછી તેમની દિલ્હીમાં ધરપકડ કરી. તપાસ મુજબ, એપ્રિલ ૨૦૨૬ દરમિયાન મનીષા માંઢરેએ પુણેમાં મનીષા વાઘમારેના માધ્યમથી સંભવિત નીટ ઉમેદવારોને એકઠા કર્યા અને પોતાના ઘરે વિશેષ કોચિંગ ક્લાસ ચલાવ્યા. મનીષા વાઘમારેની ૧૪ મે ૨૦૨૬ ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ વર્ગોમાં મનીષા માંઢરેએ બોટની અને ઝૂલોજીના ઘણા સવાલો સમજાવ્યા અને તેની માહિતી આપી. સ્ટુડન્ટ્સને કહેવામાં આવ્યું કે તેઓ આ સવાલોને પોતાની નોટબુકમાં લખે અને પુસ્તકોમાં પણ માર્ક કરે. તપાસમાં જાણવા મળ્યું કે આમાંથી મોટાભાગના સવાલો ૩ મે ૨૦૨૬ ના રોજ યોજાયેલી નીટ યુજી ૨૦૨૬ પરીક્ષાના પ્રશ્નપત્રના સવાલો સાથે મળતા આવતા હતા. નીટ પેપર લીક મામલામાં સીબીઆઈએ છ જગ્યાઓ પર દરોડા પાડ્યા છે અને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો, લેપટોપ, બેંક સ્ટેટમેન્ટ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. અત્યાર સુધી આ મામલામાં દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહલિયાનગરથી કુલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આમાંથી પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સાત દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
કોલેજના પ્રિન્સિપલે શું કહ્યું?
જે કોલેજમાં મનીષા માંઢરે પ્રોફેસર છે, તેના પ્રિન્સિપલ ડો. નિવેદિતા એકબોટેએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું કે તેમને આ મામલાની માહિતી મીડિયાથી મળી. તેમણે કહ્યું, “અમને ખબર પડી છે કે સિનિયર પ્રોફેસર મનીષા માંઢરેની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેઓ છેલ્લા ૨૪ વર્ષથી અહીં કામ કરી રહ્યા હતા અને એનટીએ સાથે ગુપ્ત શરતો હેઠળ જોડાયેલા હતા.” તેમણે જણાવ્યું કે સર્વિસ રેકોર્ડ મુજબ મનીષા માંઢરે સાત મહિના પછી રિટાયર થવાના હતા. ડો. એકબોટેએ કહ્યું, “એનટીએ, નીટ પરીક્ષા અને પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા વિશે અમને કોઈ માહિતી નથી,” તેમણે આગળ કહ્યું, “સંબંધિત સત્તાવાળાઓ પાસેથી સત્તાવાર માહિતી મળ્યા બાદ અમે કાયદા મુજબ કાર્યવાહી કરીશું.” નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સરકારની મંજૂરી બાદ નીટ ૨૦૨૬ ની ફરીથી પરીક્ષા ૨૧ જૂને યોજવાનો નિર્ણય કર્યો છે.
શુભમ ખેરનાર
શુભમ ખેરનારની નાસિકથી ધરપકડ કરવામાં આવી. સીબીઆઈ તરફથી પેપર લીક મામલામાં કેસ નોંધી તપાસ શરૂ કરવાના ઠીક પહેલા દિવસે જ એક નામ સામે આવ્યું અને મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો. આ પેપર લીક મામલામાં સામે આવેલું નામ નાસિકના ૩૦ વર્ષીય શુભમ ખેરનારનું હતું. પોલીસે માહિતી આપી હતી કે નીટ પરીક્ષાનું પ્રશ્નપત્ર નાસિકના એક ટેલિગ્રામ ગ્રુપ પર મોકલવામાં આવ્યું હતું. આ જ માહિતીના આધારે નાસિક પોલીસે ૧૨ મે, ૨૦૨૬ ના રોજ શુભમની ધરપકડ કરી સીબીઆઈને સોંપી દીધો. સીબીઆઈએ કહ્યું કે શુભમ ખેરનારે ૨૯ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ ધનંજય લોખંડે પાસેથી મેળવેલા પ્રશ્નપત્રની પીડીએફ યશ યાદવને આપી હતી. ખબર પડી કે શુભમ ખેરનારે આ પેપર માંગીલાલ ખટીક, વિકાસ બિવાલ અને દિનેશ બિવાલને પણ આપ્યું હતું. શુભમ ખેરનાર નાસિકના એક વિસ્તારમાં આવેલી ઇમારતમાં એસઆર એજ્યુકેશન કન્સલ્ટન્સી નામે પોતાનો બિઝનેસ ચલાવી રહ્યો હતો. શંકાસ્પદના પિતાએ દાવો કર્યો હતો કે “શુભમ ત્રીજા વર્ષનો મેડિકલ વિદ્યાર્થી છે અને નાસિકમાં પ્રેક્ટિસ કરે છે.” આ દરમિયાન, બીબીસી મરાઠીએ એ જાણવાની કોશિશ કરી કે શું શંકાસ્પદ ખરેખર બીએએમએસનો વિદ્યાર્થી છે કે માત્ર એક ‘ડોક્ટર’ છે જેવું કે તેણે પોતાના બોર્ડ પર લખી રાખ્યું છે. સિહોર સ્થિત સત્ય સાઈ યુનિવર્સિટીના પ્રશાસને બીબીસી મરાઠીને જણાવ્યું, “શુભમે કોલેજમાં એડમિશન તો લીધું હતું, પરંતુ તેણે સિલેબસનું કોઈ પણ વર્ષ પૂરું કર્યું ન હતું.”
પીવી કુલકર્ણી
સીબીઆઈએ દાવો કર્યો છે કે પીવી કુલકર્ણી નીટ-યુજી પેપર લીકના ‘માસ્ટરમાઇન્ડ’ છે. ૧૫ મે ૨૦२૬ ના રોજ સઘન પૂછપરછ બાદ સીબીઆઈએ પ્રહલાદ વિઠ્ઠલરાવ કુલકર્ણી ઉર્ફે પીવી કુલકર્ણીની પુણેથી ધરપકડ કરી હતી. સીબીઆઈએ પીવી કુલકર્ણીને પેપર લીક મામલાના ‘માસ્ટરમાઇન્ડ’ ગણાવ્યા છે. પીવી કુલકર્ણી મૂળ લાતુરના રહેવાસી છે. તેઓ લાતુરની દયાનંદ કોલેજમાં કેમિસ્ટ્રી ભણાવતા હતા. ૨૭ વર્ષની સેવા બાદ તેઓ ૨૦૨૨ માં સેવાનિવૃત્ત થયા, બાદમાં તેઓ પુણેમાં સ્થાયી થયા. દયાનંદ કોલેજના પ્રિન્સિપલ સિદ્ધેશ્વર બેલાલે કહ્યું કે પીવી કુલકર્ણીના રિટાયરમેન્ટ પછી કોલેજ સાથે કોઈ સંપર્ક ન હતો. કોલેજમાં ભણાવ્યા પછી તેમણે લાતુરમાં પોતાના ખુદના ક્લાસીસ શરૂ કર્યા હતા. કુલકર્ણીનું નામ પુણે સ્થિત એક સંસ્થા સાથે પણ જોડાયેલું છે. આ સંસ્થા નીટ, જેઈઈ, જેઈઈ મેન અને એમએચટી-સીઈટી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ, ક્વેશ્ચન સેટ અને ગાઈડન્સ પૂરું પાડતી હતી. સીબીઆઈએ કહ્યું છે કે એપ્રિલ ૨૦૨૬ ના છેલ્લા અઠવાડિયામાં પુણે સ્થિત તેમના ઘરે કેટલાક સ્ટુડન્ટ્સ માટે ખાસ કોચિંગ સેશન ચલાવવામાં આવ્યા હતા. આ સિવાય, સ્થાનિક સ્તરે એવી ફરિયાદ પણ આવી હતી કે કુલકર્ણીએ કેટલાક સ્ટુડન્ટ્સને પૈસાના બદલામાં ‘ગેસ પેપર’ આપ્યા હતા. સીબીઆઈએ લાતુર સ્થિત તેમની ટ્યુશન સંસ્થાઓ અને સંબંધિત શિક્ષકોની પૂછપરછ કરી છે. કુલકર્ણીના વકીલે કહ્યું, “સીબીઆઈના મતે, પીવી કુલકર્ણી એનટીએ તરફથી પરીક્ષા પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયામાં સામેલ હતા અને તેમની પાસે પ્રશ્નપત્ર હાજર હતા. મને ખબર નથી કે મારા ક્લાયન્ટ (પીવી કુલકર્ણી) તરફથી તૈયાર કરાયેલા પ્રશ્નપત્ર એનટીએ એ લીધા હતા કે નહીં. ઘણા શિક્ષકો પ્રશ્નપત્ર તૈયાર કરે છે. મારા ક્લાયન્ટની કોઈ પણ પુરાવા વિના ધરપકડ કરવામાં આવી છે.”
મનીષા વાઘમારે
સીબીઆઈએ કહ્યું છે કે મનીષા વાઘમારે પીવી કુલકર્ણીને મનીષા માંઢરેના માધ્યમથી જાણતા હતા. મનીષા વાઘમારેની ૧૪ મે, ૨૦૨૬ ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. મનીષા વાઘમારેનો સંબંધ પીવી કુલકર્ણી સાથે પણ બતાવવામાં આવ્યો છે, જેમને સીબીઆઈએ ‘મુખ્ય કાવતરાખોર’ કહ્યા છે. સીબીઆઈએ કહ્યું છે કે મનીષા વાઘમારે પીવી કુલકર્ણીને મનીષા માંઢરેના માધ્યમથી જાણતા હતા. મનીષા વાઘમારેના વકીલોએ દાવો કર્યો કે તેમના અસીલ વિરુદ્ધ કોઈ પ્રત્યક્ષ પુરાવા મળ્યા નથી. તેમના પર આરોપ માત્ર એટલા માટે લગાવવામાં આવ્યો છે કારણ કે તેઓ ધનંજય લોખંડેના સંપર્કમાં હતા.
ધનંજય લોખંડે
નીટ પરીક્ષા પેપર લીક મામલામાં વધુ એક નામ ધનંજય લોખંડેનું છે. ધનંજયની સીબીઆઈ દ્વારા અહલિયાનગર જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈની માહિતી મુજબ, ધનંજય લોખંડેએ મનીષા વાઘમારે પાસેથી નીટ પરીક્ષા સંબંધિત પેપર મેળવ્યું હતું અને તે શુભમ ખેરનારને આપી દીધું હતું. શુભમ ખેરનાર અને ધનંજય લોખંડે એકબીજાને જાણે છે. બાદમાં શુભમે ધનંજય લોખંડે પાસેથી મળેલા કાગળો બીજા લોકોને આપી દીધા હતા. આ દરમિયાન, મહારાષ્ટ્રમાં પાંચેય આરોપીઓમાંથી કેટલાકે હજુ સુધી પોતાના વકીલોને કોઈ જવાબ આપ્યો નથી. જેવી કોઈ માહિતી મળશે, અહીં અપડેટ કરી દેવામાં આવશે.
માંગીલાલ બિવાલ
જયપુરના જમવારામગઢના રહેવાસી માંગીલાલ બિવાલની લીક થયેલું પ્રશ્નપત્ર મેળવવા અને તેને વહેંચવાના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. માંગીલાલ બિવાલનો દીકરો વિકાસ બિવાલ સવાઈ માધોપુરની મેડિકલ કોલેજમાં એમબીબીએસ ફર્સ્ટ યરમાં અભ્યાસ કરી રહ્યો છે. એવા પણ આક્ષેપો છે કે નીટ ૨૦૨૫ માં પણ હરિયાણાના યશ યાદવના માધ્યમથી માંગીલાલ બિવાલે પેપર ખરીદ્યું હતું. આ જ પરીક્ષામાં માંગીલાલ બિવાલના પરિવારમાંથી પાંચ બાળકોનું સિલેક્શન થયું હતું.
વિકાસ બિવાલ-દિનેશ બિવાલ
દિનેશ બિવાલ માંગીલાલ બિવાલનો ભાઈ છે જ્યારે વિકાસ બિવાલ દીકરો છે. દિનેશ બિવાલની જયપુરથી જ ધરપકડ કરવામાં આવી છે. આ લીક પાછળ થયેલા નાણાકીય લેણદેણ સાથે તેના સીધા સંબંધ હોવાના આક્ષેપો છે.
યશ યાદવ
નીટ-યુજી પેપર લીક મામલામાં ધરપકડ કરાયેલ ગુરુગ્રામનો રહેવાસી યશ યાદવ ઉત્તરકાશીથી બીએએમએસ (બેચલર ઓફ આયુર્વેદ મેડિસિન એન્ડ સર્જરી) નો અભ્યાસ કરી રહ્યો હતો. સીબીઆઈની ટીમે આ મામલામાં અન્ય ઘણા લોકો સાથે યશ યાદવની પણ ધરપકડ કરી છે.

