Assam House Demolition: અસમના મુસ્લિમ બહુમતી ધરાવતા ગોલપાડા જિલ્લામાં ઘરો તોડવાની કાર્યવાહી અંગે ગૌહાટી હાઈકોર્ટે 7 સપ્ટેમ્બરે રાજ્યના અધિકારીઓને કડક ઠપકો આપ્યો. સ્થાનિક રહેવાસીઓએ માત્ર 24 કલાકની નોટિસ આપ્યા બાદ કરવામાં આવેલી કાર્યવાહીને અદાલતમાં પડકારી હતી.
અહેવાલ અનુસાર, 7 સપ્ટેમ્બરે સ્થાનિક વહીવટીતંત્રે 73 મુસ્લિમ પરિવારોના ઘરો એ કહીને તોડી પાડ્યા કે તેમણે ખેતીની જમીનને રહેણાંક ઉપયોગ માટે રૂપાંતરિત કરાવ્યું ન હતું.
21 રહેવાસીઓ તરફથી રાજ્ય સરકાર, ગોલપાડાના જિલ્લા કલેક્ટર અને માટિયા મહેસૂલ સર્કલના સર્કલ અધિકારી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં જસ્ટિસ દેવાશિષ બરુઆએ અધિકારીઓને સવાલ કર્યો કે એવું કયું ‘તાત્કાલિક જોખમ’ હતું, જેના કારણે ઘરો તોડી પાડવા જરૂરી બન્યા?
હાઈકોર્ટે જણાવ્યું કે આ વહીવટી કાર્યવાહી પ્રથમ દૃષ્ટિએ ‘ગેરકાયદેસર’ જણાય છે, કારણ કે મકાનો તોડી પાડવામાં આવે તે પહેલાં જમીન માલિકોને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી ન હતી.
અદાલતે નિર્દેશ આપ્યો કે 11 સપ્ટેમ્બરે આગામી સુનાવણી થાય ત્યાં સુધી કોઈ વધુ કાર્યવાહી કરવામાં ન આવે.
અદાલતે જણાવ્યું, ‘માટિયા મહેસૂલ સર્કલના સર્કલ અધિકારી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પ્રથમ દૃષ્ટિએ ગેરકાયદેસર, અનધિકૃત અને કુદરતી ન્યાયના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરતી જણાય છે, જે બંધારણના અનુચ્છેદ 14 (સમાનતાનો અધિકાર) અને અનુચ્છેદ 21 (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ)નું એક પાસું છે.’
ન્યાયાધીશે જણાવ્યું, ‘આજના સમયમાં, જ્યારે આ સંદર્ભમાં અનેક સ્થાપિત સિદ્ધાંતો અસ્તિત્વમાં છે, ત્યારે અરજીકર્તાઓને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપ્યા વિના આ પ્રકારની નોટિસ જારી કરવામાં આવે તે સંપૂર્ણપણે અકલ્પનીય છે… નોટિસમાં એવું કોઈ તાત્કાલિક જોખમ દેખાતું નથી, જેના આધારે ખાનગી જમીન પર આટલી કઠોર કાર્યવાહી કરવાની સત્તાનો ઉપયોગ કરી શકાય.’
અદાલતે નોંધ્યું કે નોટિસ અરજીકર્તાઓની પટ્ટા (ખાનગી) જમીન સંબંધિત હતી, જે પોતાના ઘરો વિરુદ્ધ મહેસૂલ અધિકારીઓની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા હતા.
અરજીકર્તાઓના વકીલ એસ. બોરઠાકુરે જણાવ્યું કે નોટિસ 5 સપ્ટેમ્બરે જારી કરવામાં આવી હતી અને 7 સપ્ટેમ્બરની સવારે ઘરો તોડી પાડવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે તોડફોડ શરૂ થાય તે પહેલાં અરજીકર્તાઓને પોતાનો પક્ષ રજૂ કરવાની ‘કોઈ તક’ આપવામાં આવી ન હતી.

