Ahmedabad Rath Yatra Road Closure: ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીનો સમય બાકી છે. શુક્રવારે (27 જૂન) ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે નગરયાત્રાએ નીકળશે. જેને લઈને મંદિર ટ્રસ્ટ તેમજ પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રથયાત્રાના દિવસે મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદ પોલીસે અમુક વિસ્તારોને ‘નો પાર્કિગ ઝોન’ જાહેર કર્યા છે. અમદાવાદ પોલીસ કમિશ્નર જી. એસ મલિક દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
રથયાત્રા નિમિત્તે કરાયા નો પાર્કિંગ ઝોન
જાહેરનામા અનુસાર, અમદાવાદ શહેરમાં જગન્નાથ મંદિરની 148મી રથયાત્રા નિમિત્તે અમુક વિસ્તારોના જાહેર માર્ગો 26 જૂન રાત્રે 12 વાગ્યાથી ‘નો પાર્કિંગ ઝોન’ રહેશે.
કયા વિસ્તાર ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાયા?
જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, આસ્ટોડિયા ચકલા, (બી.આર.ટી.એસ. રૂટ સહિત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જૂની ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમ દરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા યોકી, ઔત્તમ પોળ, આર. સી. હાઇસ્કૂલ, દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોરનાકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઈ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસાથી જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન રહેશે.
ક્યાં સુધી અમલી રહેશે જાહેરનામું?
નોંધનીય છે કે, આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ-33ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને 26 જૂને રાત્રે 12 વાગ્યાથી લઈને 27 જૂને રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.