Indian Army fitness policy: ભારતીય સેનાની નવી ફિટનેસ નીતિ: વરિષ્ઠ અધિકારીઓ સહિત તમામ સૈનિકોને વર્ષમાં બે વાર સંયુક્ત શારીરિક કસોટી પાસ કરવી ફરજિયાત

Arati Parmar
By Arati Parmar 3 Min Read
Indian Army fitness policy: ભારતીય સેનાએ તેની શારીરિક ફિટનેસ નીતિઓમાં મોટો ફેરફાર કર્યો છે. આ નિયમો ફક્ત સૈનિકોને જ નહીં, પરંતુ ઉચ્ચતમ કક્ષાના અધિકારીઓ (ત્રણ-સ્ટાર કમાન્ડર સુધી) ને લાગુ પડશે અને નિયમિત શારીરિક પરીક્ષણોમાંથી પસાર થવું પડશે. સેનાની નવી માર્ગદર્શિકા અનુસાર, બધા અધિકારીઓ અને સૈનિકોએ વર્ષમાં બે વાર સંયુક્ત શારીરિક પરીક્ષા પાસ કરવી જરૂરી રહેશે. જણાવવામાં આવ્યું છે કે, નવા આર્મી સેવા નિયમો 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે.
અત્યાર સુધી, 50 વર્ષ સુધીના અધિકારીઓ અને સૈનિકોએ દર વર્ષે બે યુદ્ધ શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (BPET) અને શારીરિક કુશળતા પરીક્ષણ (PPT) ફિટનેસ પરીક્ષાઓ પાસ કરવા જરૂરી હતી. જોકે, વરિષ્ઠ અધિકારીઓને આમાંથી છૂટ આપવામાં આવી હતી. નવા નિયમો હેઠળ, 60 વર્ષ સુધીના તમામ કર્મચારીઓએ આ પરીક્ષા આપવી જરૂરી રહેશે. આનાથી સેનાની એકંદર શારીરિક તંદુરસ્તી અને નેતૃત્વના દાખલાને મજબૂત બનાવવામાં આવશે. આધુનિક યુદ્ધ ભલે ડિજિટલ રીતે આગળ વધી રહ્યું હોય, પરંતુ સૈનિકની શારીરિક અને માનસિક ક્ષમતાઓ તેમની સાચી તાકાત રહે છે.
સેનાના પત્રમાં જણાવાયું છે કે, BPET અને PPT ને હવે એકીકૃત “સંયુક્ત શારીરિક કસોટી” બનાવવા માટે જોડવામાં આવ્યા છે. આ કસોટી વર્ષમાં બે વાર લેવામાં આવશે. આનાથી માત્ર પરીક્ષણોની સંખ્યા જ નહીં, પરંતુ સૈનિકો અને અધિકારીઓને રમતગમત, સાહસ અને શોખ જેવી અન્ય પ્રવૃત્તિઓમાં જોડાવા માટે વધુ સમય મળશે.
સેનાએ વિવિધ વય જૂથો અને લિંગ માટે નવા ધોરણો નક્કી કર્યા છે. 35 થી 50 વર્ષની વયના કર્મચારીઓને 3.2 કિમી દોડ, પુશ-અપ્સ અને સિટ-અપ્સ પૂર્ણ કરવા પડશે. 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોએ ઉપર જણાવેલ પરીક્ષણો સાથે દોરડા પર ચઢાણ મૂલ્યાંકનમાંથી પસાર થવું પહેશે. 50 થી 60 વર્ષની વયના લોકો માટે, માપદંડોમાં 3.2 કિમીની ઝડપી ચાલ, પુશ-અપ્સ અને સિટ-અપ્સનો સમાવેશ થશે.
આર્મી પત્રમાં જણાવાયું છે કે, એક ફિટ સૈનિક અન્ય કરતા વધુ સક્ષમ, વિશ્વસનીય અને અસરકારક હોય છે. આર્મી ઇચ્છે છે કે, તેના કમાન્ડરો શારીરિક રીતે એટલા સક્ષમ હોય કે, તેઓ હંમેશા આગળની હરોળથી તેમના સૈનિકોનું નેતૃત્વ કરી શકે. તેથી, વરિષ્ઠ અધિકારીઓ પર પણ સમાન ધોરણો લાગુ કરવામાં આવ્યા છે. આનાથી તમામ આર્મી કર્મચારીઓનું મનોબળ વધશે.
મીડિયા અહેવાલો અનુસાર, નિષ્ણાતોએ આ પગલાનું સ્વાગત કરતા કહ્યું કે, માનસિક અને શારીરિક રીતે ફિટ કમાન્ડર જ યુદ્ધમાં સૈનિકોને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે અને સફળ મિશન સુનિશ્ચિત કરી શકે છે. આર્મી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફેરફાર ઘણા આંતરિક અભ્યાસો અને વિદેશી સેનાઓના ધોરણોનો અભ્યાસ કર્યા પછી વિકસાવવામાં આવ્યો હતો.
Share This Article