Gram Panchayat elections News: માસના અંતે જાહેર થઈ શકે છે ગ્રામ પંચાયતની ચૂંટણી – રાજકીય ગરમાવો વધ્યો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Gram Panchayat elections News: ઘણા વખતથી ગ્રામ પંચાયતોમાં ચૂંટાયેલી પાંખ નહી, પરંતુ વહીવટદારોનું શાસન છે. આ જ મહિનાના અંત સુધીમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે કેમ કે, રાજ્ય ચૂંટણી પંચે પંચાયતોની ચૂંટણી યોજવા તૈયારી આરંભી દીધી છે. આ જોતાં હવે પંચાયતોમાં વહીવટદારોના શાસનનો અંત આવશે. સરપંચ બનવા માટે દાવેદારોએ પણ રાજકીય વાઘા સજાવી દીધાં છે. મહત્વની વાત એ છેકે, પંચાયતોની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થશે નહીં.

બેલેટપેપરથી ચૂંટણી 30મી જૂને ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઇ રહી છે. મુદત પૂર્ણ થઇ હોય તેવી પંચાયતોની ચૂંટણી યોજવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચે કલેક્ટરોએ પત્ર લખી પંચાયતોની ચૂંટણી માટે સજ્જ રહેવા આદેશ કર્યો છે.

- Advertisement -

આ ઉપરાંત જરૂરિયાત મુજબ મતદાન મથકથી માંડીને સ્ટ્રોગરૂમ નક્કી કરવા જરૂરી સૂચના અપાઈ છે. ચૂંટણી પંચે બેલેટપેપર છપાવવા પ્રિન્ટીંગ પ્રેસ નક્કી કરવા, ચૂંટણીનું સાહિત્ય અને સ્ટેશનરીની ખરીદી કરવા ટેન્ડર પ્રક્રિયા કરવા પણ જણાવી દીધું છે.

કલેક્ટરોને પોલીસ ઉપરાંત ચૂંટણી સ્ટાફ માટેનો ડેટાબેઝ તૈયાર કરવા અને ચૂંટણી અધિકારી-મદદનીશ ચૂંટણી અધિકારી-કાઉન્ટીંગ સ્ટાફને તાલીમ આપવા પણ આયોજન કરાયુ છે. સરપંચ માટે દાવેદારોએ અત્યારથી તૈયારીઓ કરી છે. સરપંચ કેટલો ચૂંટણી ખર્ચ કરી શકશે તે ધારાધોરણ પણ નક્કી કરવામાં આવશે.

- Advertisement -

પંચાયતની ચૂંટણીમાં કેટલી મતપેટીઓ જોઈએ, કેટલી મતકુટિરની જરૂરિયાત ઉભી થશે. એટલુ જ નહીં, મતદારોની આંગળીએ લગાવવામાં આવતી શાહી કેટલી માત્રામાં જોઈશે તે સમગ્ર બાબતે કામગીરી કરવા અત્યારથી જીલ્લા કલેક્ટર કચેરીના અધિકારી-કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છેકે, કેટલીય ગ્રામ પંચાયતોની તો મુદત પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે ઘણી પંચાયતોની મુદત ચાલુ માસમાં પૂર્ણ થવા જઈ રહી છે. આ પંચાયતોમાં તલાટી કમ મંત્રી વહીવટદારની ભૂમિકામાં છે.

- Advertisement -

હાલ ગુજરાતમાં તલાટીઓની અછત વર્તાઇ રહી છે. ભરતી થઈ નથી જેના પગલે એક તલાટીને બે-ત્રણ ગામોની જવાબદારી સોંપવામાં આવી છે જેના કારણે પંચાયતોની વહીવટ ખોરવાયો છે. ગામડાઓનો વિકાસ ખોટકાયો છે. આ જોતાં હવે પંચાયતોની ચૂંટણી યોજાય તે ચૂંટાયેલી પાંખ વહીવટ કરશે.

Share This Article