PMJAY-MAથી ટ્રાઇબલ જીનોમ સિક્વન્સિંગ સુધી, ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે અનેક નવા માપદંડ સ્થાપ્યા
Gujarat Health Services: 13 સપ્ટેમ્બર, 2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. સુશાસન સેવા સંકલ્પનો આ સમયગાળો જનસ્વાસ્થ્યના ક્ષેત્રમાં ગુણવત્તાયુક્ત, સુલભ અને ટેક્નૉલૉજી આધારિત સેવાઓના વિસ્તરણની અનેક જનહિતકારી મહત્વપૂર્ણ પહેલોનો સાક્ષી બન્યો છે.
- PMJAY-MAથી ટ્રાઇબલ જીનોમ સિક્વન્સિંગ સુધી, ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે અનેક નવા માપદંડ સ્થાપ્યા
- PMJAY-MA હેઠળ આરોગ્ય સુરક્ષાનું કવચ વધુ મજબૂત બની રહ્યું છે
- 99.97% સંસ્થાકીય પ્રસૂતિ દર સાથે ગુજરાતે રાષ્ટ્રીય ધોરણ સ્થાપિત કર્યું
- ગુજરાતમાં “સ્વસ્થ ગુજરાત, સ્થૂળતામુક્ત ગુજરાત” અભિયાનની શરૂઆત
- આધુનિક અને ટેક્નૉલૉજી આધારિત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવી
- ટ્રાઇબલ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યભરમાં આરોગ્ય ક્ષેત્રે અનેક પરિવર્તનકારી યોજનાઓ શરૂ કરીને જનસેવાનો માર્ગ દર્શાવ્યો હતો. આ માર્ગ પર આગળ વધતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે આરોગ્ય સેવાઓની પહોંચ વધારવા, રોગોના નિવારણ, સમયસર નિદાન અને અસરકારક સારવારની સુવિધાઓ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે.
PMJAY-MA હેઠળ આરોગ્ય સુરક્ષાનું કવચ વધુ મજબૂત બની રહ્યું છે
- વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય.
- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ (PMJAY-MA) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી આરોગ્ય સહાય કવચની રકમ પાંચ લાખથી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે.
- ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.92 કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવી ચૂક્યાં છે. આ ઉપરાંત, શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બની ગયું છે. અત્યાર સુધીમાં 1.15 કરોડ ડિજિટલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવી ચૂક્યાં છે.
99.97% સંસ્થાકીય પ્રસૂતિ દર સાથે ગુજરાતે રાષ્ટ્રીય ધોરણ સ્થાપિત કર્યું
નમો યોજના હેઠળ અત્યાર સુધીમાં 8 લાખથી વધુ મહિલાઓને કુલ 540 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે. માતૃત્વ અને બાળ આરોગ્યના ક્ષેત્રમાં ગુજરાતે નોંધપાત્ર કામગીરી કરી છે. ગુજરાત 99.97% સંસ્થાકીય પ્રસૂતિ દર હાંસલ કરી ચૂક્યું છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરીને ગુજરાતે રાષ્ટ્રીય ધોરણ સ્થાપિત કર્યું છે.
ગુજરાતમાં “સ્વસ્થ ગુજરાત, સ્થૂળતામુક્ત ગુજરાત” અભિયાનની શરૂઆત
‘વિશ્વ સ્થૂળતા દિવસ’ પર ગુજરાતે “સ્વસ્થ ગુજરાત, સ્થૂળતામુક્ત ગુજરાત” અભિયાનની શરૂઆત કરી છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ 31,021 નિક્ષય મિત્રોની નિક્ષય પોર્ટલ પર નોંધણી થઈ છે. ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ થઈ શકે તે માટે 5,76,344 પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.
મિશન ઇન્દ્રધનુષના અત્યાર સુધીના તમામ તબક્કા હેઠળ રાજ્યમાં 9,95,395 બાળકો અને 2,25,960 સગર્ભા મહિલાઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આધુનિક અને ટેક્નૉલૉજી આધારિત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ AIIMSનું લોકાર્પણ થયું, જેના પરિણામે રાજ્યમાં ઉચ્ચસ્તરીય આરોગ્ય સેવાઓની સુવિધાઓમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલ–અમદાવાદમાં દેશના પ્રથમ ટેલી-રિહેબિલિટેશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગુજરાતના નાગરિકોને આરોગ્ય સંબંધિત સેવાઓ અને સુવિધાઓની એક જ છત હેઠળ દેખરેખ અને સમીક્ષા ઉપલબ્ધ થઈ શકે તે માટે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
કટોકટીની આરોગ્ય સેવાઓને વધુ સક્ષમ બનાવવા માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ હેઠળ 617 નવી એમ્બ્યુલન્સ સાથે હોસ્પિટલોમાં ઉપલબ્ધ એમ્બ્યુલન્સને પણ એકીકૃત કરવામાં આવી છે. તેના પરિણામે રાજ્યમાં 108 એમ્બ્યુલન્સની કુલ સંખ્યા 1,455 થઈ ગઈ છે.
ટ્રાઇબલ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
આદિવાસી વિસ્તારના નાગરિકોના આરોગ્ય માટે ટ્રાઇબલ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. આ પહેલથી આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સંબંધિત સંશોધન અને રોગોના સમયસર નિદાનને પ્રોત્સાહન મળશે.

