malnutrition in Gujarat: ગુજરાતના 5 જિલ્લાઓ દેશના સૌથી કુપોષિતોમાં, વિકાસના દાવાઓ પર સવાલ

Arati Parmar
2 Min Read

malnutrition in Gujarat: ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી એકહથ્થુ સત્તા હોવા છતાં કુપોષણનો દાગ આજેય દૂર થયો નથી. સરકાર “કુપોષણમુક્ત ગુજરાત”ના નારા આપે છે, પરંતુ કરોડો રૂપિયાનું બજેટ ખર્ચાયા બાદ પણ આદિવાસી અને ગરીબ વર્ગના બાળકો કુપોષણ સામે સંઘર્ષ કરી રહ્યાં છે. તાજેતરમાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ખુલાસો થયો છે કે, દેશના અતિકુપોષિત ટોપ-10 જિલ્લાઓમાં ગુજરાતના પાંચ જિલ્લાઓ સામેલ છે, જ્યારે સુપોષિત જિલ્લાના ટોપ-10માં રાજ્યનો એકપણ જિલ્લો નથી. આથી સરકારની દાવેદારી પર ગંભીર સવાલો ઊભા થયા છે.

કયા જિલ્લામાં છે સૌથી વધુ કુપોષિત બાળકો?

- Advertisement -

સર્વે મુજબ ડાંગ, દાહોદ, નર્મદા, પંચમહાલ અને તાપી જિલ્લાઓમાં બાળકોમાં કુપોષણનું પ્રમાણ સૌથી વધારે છે. ગુજરાતમાં 39.7% બાળકો કુપોષણગ્રસ્ત છે, જે દેશના સરેરાશ કરતાં ચિંતાજનક રીતે ઊંચું છે.

આંગણવાડીઓની જર્જરિત હાલત

- Advertisement -

ગુજરાતમાં બાળકોના પોષણ અને શિક્ષણ માટે કાર્યરત આંગણવાડીઓની સ્થિતિ અત્યંત દયનીય છે. હજારો કેન્દ્રો ભાડાના મકાનો કે તૂટેલી ઇમારતોમાં ચાલી રહ્યાં છે. ઘણી આંગણવાડીઓમાં પીવાનું પાણી, વિજળી અને શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ જ નથી. કેટલીક જગ્યાએ બે-બે કેન્દ્રો એકસાથે ભેગા ચલાવવામાં આવે છે, તો ક્યાંક વર્કરો પોતાના જ જર્જરિત ઘરેથી આંગણવાડી ચલાવે છે.

વર્કરો પર ભારણ એટલું વધી ગયું છે કે બાળકો માટે પૂરતો સમય જ નથી. તેમને સરકારી યોજનાઓના અનેક વધારાના કામો સોંપવામાં આવે છે. પરિણામે બાળકોને પોષણ સાથે પ્રાથમિક શિક્ષણ આપવામાં પણ મુશ્કેલી પડે છે.

- Advertisement -

ખર્ચ તો થયો, લાભ નહીં

સરકાર દ્વારા 3.82 કરોડ રૂપિયાનાં શુદ્ધ પાણીના મશીનો ખરીદાયા હોવાની માહિતી સામે આવી છે, પરંતુ મોટા ભાગના મશીનો ઉપયોગ વગર જ પાડી રહ્યાં છે. આંગણવાડીઓમાં બાળકોને આજે પણ સ્વચ્છ પાણી મળતું નથી.

ખાલી જગ્યાઓથી તંત્ર ખોખલું

રાજ્યભરમાં હજારો આંગણવાડીઓમાં વર્કરો, હેલ્પરો, સુપરવાઈઝર અને અધિકારીઓની જગ્યાઓ વર્ષોથી ખાલી છે. અંદાજે અડધાથી વધારે જગ્યાઓ ખાલી હોવાને કારણે તંત્ર યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી.

કુપોષણ દૂર કરવા માટે કરાયેલા પ્રયાસો જમીન પર અસરકારક સાબિત થયા નથી. કરોડો રૂપિયાના ખર્ચ છતાં બાળકોને પોષણ, સ્વચ્છ પાણી અને શિક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતો નથી મળી રહી. આથી રાજ્ય સરકારના દાવા અને વાસ્તવિકતા વચ્ચે મોટો અંતર સ્પષ્ટ જોવા મળે છે.

 

Share This Article