ભાગલ ચારરસ્તા ખાતે ત્રિરંગા વિતરણ કરાયું, વાય જંકશન, પીપલોદ ખાતે ભવ્ય યાત્રા નિકળશે
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સુરત શહેરમાં દેશભક્તિનો જુવાળ ઉછળી રહ્યો છે. આ ક્રમમાં, શુક્રવારે સાંજે, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભાગલ ચારરસ્તા પર વાહનચાલકો સહિત સામાન્ય નાગરિકોને ત્રિરંગાનું વિતરણ કર્યું હતું. આ દરમિયાન તેમણે 11મી ઓગસ્ટના રોજ સુરતના વાય જંકશન, પીપલોદ ખાતે યોજાનારી વિશાળ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં ભાગ લેવા લોકોને હાકલ કરી હતી.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ત્રિરંગો આપણો રાષ્ટ્રધ્વજ છે અને તે દેશની એકતા અને અખંડિતતાનું પ્રતિક છે. તેમણે લોકોને તેમના ઘરો, દુકાનો અને સંસ્થાનો પર ત્રિરંગો લહેરાવીને દેશભક્તિ દર્શાવવા વિનંતી કરી.
ત્રિરંગો વિતરણ કાર્યક્રમમાં મેયર દક્ષેશ માવાણી, પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, શહેર ભાજપ પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.