દેહરાદૂન : ચારધામ યાત્રામાં સતત શ્રદ્ધાળુઓની ભીડ વધી રહી છે. જેના પગલે ઉત્તરાખંડના(Uttarakhand) મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જાહેરાત કરી હતી કે ચાર ધામોમાં વીઆઈપી(VIP) દર્શનની વ્યવસ્થા 31 મે સુધી મોકૂફ રાખવામાં આવશે. આ પ્રતિબંધ પૂર્વે 25 મે સુધી રાખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ અધિકારીઓને ક્ષમતા મુજબ શ્રદ્ધાળુને ચાર ધામમાં મોકલવા જણાવ્યું છે.
શ્રદ્ધાળુઓની સુરક્ષા સરકારની પ્રાથમિકતા
ચારધામ યાત્રાની વ્યવસ્થાની સમીક્ષા કરતી વખતે ધામીએ કહ્યું કે અમારી પ્રાથમિકતા ચારધામ યાત્રા પર આવનાર તમામ શ્રદ્ધાળુઓની સુરક્ષા છે. યાત્રાના રજીસ્ટ્રેશન મુજબ આપેલી તારીખ મુજબ દર્શન માટે આવવા ભક્તોને અનુરોધ પણ કર્યો હતો. ધામીએ નિર્દેશ આપ્યો કે ચારધામ માટે નિર્ધારિત દૈનિક ક્ષમતા મુજબ ભક્તોને દર્શન માટે મોકલવામાં આવે. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો કે ચારધામના તમામ માર્ગો વિકાસનગર, યમુનાપુલ, ધનોલ્ટી, સુવાખોલીના પ્રવેશ સ્થળો પર કડક ચેકિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે.
અધિકારીઓ દરરોજ પ્રેસ બ્રીફિંગ કરશે
મુખ્યમંત્રીએ કહ્યું કે વરિષ્ઠ સરકારી અધિકારીઓએ દરરોજ મીડિયા બ્રીફિંગ કરવું જોઈએ જેથી કરીને ચારધામ યાત્રાની વ્યવસ્થા અંગેની માહિતી લોકો સુધી સ્પષ્ટ રીતે પહોંચે. તેમણે પોલીસ મહાનિર્દેશકને ટ્રાફિક વ્યવસ્થાપન અને ભીડ વ્યવસ્થાપન માટે વ્યક્તિગત રીતે સ્થળ નિરીક્ષણ કરવા સૂચના આપી હતી અને ચાર ધામોમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આ માટે જવાબદારી સોંપવામાં આવે. મુખ્યમંત્રીએ કહ્યું કે ચારધામ યાત્રા રાજ્યની જીવાદોરી છે. આ યાત્રા રાજ્યની અર્થવ્યવસ્થા સાથે પણ જોડાયેલી છે.

50 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ
ચારધામ મંદિર પરિસરની 50 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ધામોમાં રીલ બનાવીને ભ્રામક માહિતી ફેલાવનારાઓ સામે સીધી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. મુખ્ય સચિવે પ્રવાસન સચિવને આદેશનું કડક પાલન કરવા સૂચના આપી છે.
શ્રદ્ધાળુઓની ભીડ પાછલા વર્ષોની તુલનામાં ઘણી વધારે
મુખ્ય સચિવે કહ્યું હતું કે આ વખતે શ્રદ્ધાળુઓની ભીડ પાછલા વર્ષોની તુલનામાં ઘણી વધારે છે. આ વધતી ભીડને કારણે ધામોમાં કોઈ સમસ્યા ન સર્જાય તે માટે ભીડને નિયંત્રિત કરવામાં આવી રહી છે. ધામોના મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ મોબાઈલમાં ફોટા પડાવવા અને વીડિયો બનાવવામાં ઘણો સમય વિતાવી રહ્યા છે. જેના કારણે આસપાસ બિનજરૂરી ભીડ જોવા મળે છે.
