India’s 24 Airports Closed : જમ્મી કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. જેના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને PoKના 9 આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે, ત્યારે ગુરુવારે (8 મે, 2025) મોડી રાત્રે પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઈલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોનને આકાશ પર જ તોડી પાડવામાં આવ્યા હતા. તેવામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સૂચના મુજબ, ગુજરાતના 7 સહિત ભારતના 24 એરપોર્ટ પર આગામી સૂચના સુધી નાગરિક કામગીરી સ્થગિત કરવામાં આવી છે.
પાકિસ્તાને જમ્મુ, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં અનેક સ્થળોને નિશાન બનાવીને ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા. આ પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા નોટિસ જારી કરવામાં આવી હતી. જેમાં દેશના કુલ એરપોર્ટ પર NOTAM એટલે કે નોટિસ ટૂ એર મિશન સિસ્ટમ જાહેર કર્યું છે.
આ એરપોર્ટ બંધ કરાયા
જેમાં ગુજરાતના મુન્દ્રા, જામનગર, હિરાસર (રાજકોટ), પોરબંદર, કેશોદ, કંડલા, ભુજ સહિત ચંડીગઢ, શ્રીનગર, અમૃતસર, લુધિયાણા, ભુંટેર, કિશનગઢ, પટિયાલા, શિમલા, કાંગરા-ગગ્ગલ, ભટીંડા, જેસલમેર, જોધપુર, બિકાનેર, હલવારા, પઠાણકોટ, જમ્મુ, લેહ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે.