Rohit Sharma Test Retirement: રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. આ જાહેરાત આશ્ચર્યજનક હતી કારણ કે, ભારતીય સિલેક્ટર્સ ઇંગ્લેન્ડ સામેની આગામી પાંચ ટેસ્ટ મેચની સીરિઝ માટે ટીમની પસંદગી કરવાના હતા.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સોશિયલ મીડિયા દ્વારા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ રોહિત શર્માના નિર્ણયનું સમર્થન કર્યું અને કહ્યું કે, આ તેના માટે સંન્યાસ લેવાનો યોગ્ય સમય હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન ગાંગુલીએ રોહિતને તેની શાનદાર કારકિર્દી માટે અભિનંદન પાઠવ્યા.
સૌરવ ગાંગુલીએ શું કહ્યું
સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ‘સંન્યાસ લેવો એ એક વ્યક્તિગત નિર્ણય છે. મને લાગે છે કે રોહિત શર્મા માટે નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય હતો. તે ભારત માટે ઘણું ક્રિકેટ રમ્યો અને હું તેને તેના આગામી સફર માટે શુભકામનાઓ પાઠવું છું. તે એક સારો લીડર છે અને તેથી જ તે ભારતનો કેપ્ટન બન્યો. મને એ વાતનું જરાય અચરજ નથી કે તેણે ભારતને T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ જીતમાં ભારતની કેપ્ટનશીપ કરી. તેની કારકિર્દી શાનદાર રહી અને રોહિતને તેના પર ગર્વ હોવો જોઈએ.’
રોહિતે મૌન તોડ્યું
તમને જણાવી દઈએ કે, છેલ્લા થોડા સમયમાં રોહિત શર્માનું ફોર્મ ખરાબ થયું હતું અને તેના કારણે તેને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં રોહિત શર્માએ ટીકા અંગે પોતાનું મૌન તોડ્યું અને તેને બિનજરૂરી ગણાવ્યું.
રોહિત શર્માએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘ટીકા એ ખેલાડીના જીવનનો એક ભાગ છે. ટીકા જરૂરી અને મહત્વપૂર્ણ છે. પણ હું બિનજરૂરી ટીકાનો વિરોધ કરું છું. મને આ પસંદ નથી. મારા વિશે ઘણી બધી વાતો કહેવામાં આવી. પણ હું આ બાબતો પર ધ્યાન નથી આપતો અને તેનાથી મને કોઈ ફરક પડતો નથી.’
રોહિત શર્માએ આગળ કહ્યું કે, ‘ટીકાકારોને જવાબ આપવાને બદલે, હું પોતાની રમત સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરું છું. મારા વિશે ઘણી બધી વાતો કહેવામાં આવી હતી જેમ કે, હું ડાબા હાથના ફાસ્ટ બોલર સામે નથી રમી શકતો અને બીજી ઘણી બધી વાતો. પણ હું આ બધા પર ધ્યાન નથી આપતો. જો તમે આનો બચાવ કરશો, તો ઘણી બધી બાબતો ખોટી થઈ જશે. તમારો સમય પસાર થશે અને તમારે સમયની કદર કરવી જોઈએ. મારું જે કામ છે તે હું કરું છું.’