PF Balance Transfer: પીએફ બેલેન્સ ટ્રાન્સફર કેમ થતું નથી? જાણો ઈપીએફઓ મુજબના 5 મુખ્ય કારણો
PF Balance Transfer: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા સભ્યોને અનેક સુવિધાઓ આપવામાં આવી રહી છે. પીએફ ખાતાનું ટ્રાન્સફરથી લઈને પીએફ ઉપાડ સરળ બને તે માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે. છતાં પણ હજુ ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમના પીએફ ખાતાનું બેલેન્સ ટ્રાન્સફર થઈ રહ્યું નથી. તમને સોશિયલ મીડિયા પર આવી અનેક ફરિયાદો જોવા મળશે. જેમાં કર્મચારી અથવા પેન્શનર પીએફ ખાતામાંથી પૈસા ન મળવા માટે ઈપીએફઓને જવાબદાર ઠેરવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી કેટલીક ભૂલો અથવા ચૂકના કારણે પણ પીએફ ખાતાનું બેલેન્સ ટ્રાન્સફર થઈ શકતું નથી.
આ 5 કારણોથી સભ્યો પીએફ ખાતાનું બેલેન્સ ટ્રાન્સફર કરી શકતા નથી
1. ખોટી માહિતી આપવી
ઘણી વખત કર્મચારી અથવા પેન્શનરની એક ભૂલના કારણે તેમના પીએફ ખાતાનું બેલેન્સ ટ્રાન્સફર થઈ શકતું નથી. મેમ્બર આઈડી, સર્વિસ હિસ્ટ્રી અથવા બેંક વિગતો વિશે જો તમે ખોટી માહિતી આપશો તો તમારા પીએફ ખાતાનું બેલેન્સ ટ્રાન્સફર નહીં થાય. જો તમે આવું કર્યું હોય તો પહેલા આ ભૂલો સુધારો.
2. એક અથવા એકથી વધુ UAN
ઘણી વખત એવું બને છે કે જ્યારે કર્મચારી નવી કંપનીમાં ટ્રાન્સફર થાય છે ત્યારે ત્યાં નવું UAN ખાતું ખૂલી જાય છે. કર્મચારી જ્યારે જૂના પીએફ ખાતાની માહિતી નવા નિયોક્તાને આપતા નથી ત્યારે આવા કિસ્સામાં પણ પીએફ ઉપાડમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેના માટે પહેલા તમારે તમામ પીએફ ખાતાઓને મર્જ કરવા પડશે. ત્યારબાદ જ ટ્રાન્સફરની પ્રક્રિયા થઈ શકશે.
3. માહિતીમાં મેળ ન હોવો
ઘણી વખત જૂના પીએફ ખાતા અને નવા પીએફ ખાતાની કેટલીક માહિતી એકસરખી હોતી નથી, જેના કારણે પણ તમારા પીએફ ખાતાનું બેલેન્સ ટ્રાન્સફર થવામાં અથવા પીએફ ઉપાડમાં તમને સમસ્યા થઈ શકે છે. જ્યારે તમે પીએફ ખાતાનું ટ્રાન્સફર કરી રહ્યા હો અથવા તેને મર્જ કરી રહ્યા હો ત્યારે ધ્યાન રાખો કે તેમાં તમારું નામ, પિતાનું અથવા પતિનું નામ અને અન્ય તમામ માહિતી યોગ્ય રીતે નોંધાયેલી હોય.
4. KYC પ્રક્રિયા પૂર્ણ ન હોવી
જો તમારું આધાર અથવા પાન બેંક ખાતા સાથે લિંક નથી અથવા પીએફ ખાતાની KYC પ્રક્રિયા પેન્ડિંગ છે અથવા નામંજૂર થઈ ગઈ છે, તો પણ પીએફ ખાતામાંથી ઉપાડ થઈ શકશે નહીં. તેના માટે પહેલા તમારે KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
5. ડેટ ઑફ એક્ઝિટ અપડેટ ન કરવી
જ્યારે તમે કોઈ કંપનીની નોકરી છોડીને નવી કંપનીમાં જોડાઓ છો ત્યારે જૂના નિયોક્તા દ્વારા તમારા પીએફ ખાતામાં ડેટ ઑફ એક્ઝિટ અપડેટ કરવામાં આવે છે. જો જૂના નિયોક્તાએ આ કામ કર્યું ન હોય તો પણ તમારા પીએફ ખાતાનું બેલેન્સ ટ્રાન્સફર થઈ શકશે નહીં. આ એક સામાન્ય સમસ્યા છે, જેનો સામનો ઘણા પીએફ ખાતાધારકોને કરવો પડે છે.

